કોરોના સામે લડવા માટે CM ભૂપેન્દ્ર પટેલે બોલાવેલી હાઈ લેવલની બેઠકમાં શું લેવાયો મોટો નિર્ણય ?


ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે રાજ્યમાં કોરોના સંક્રમણ સામેની લડાઈને મુદ્દે બેઠક કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને જિલ્લા અને મહાનગરોના વહિવટી તંત્રની કોરોના સામે લડવાની સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં 10 જાન્યુઆરીથી દરરોજ 2 હજાર કિલો ઉકાળા પાવડર વિતરણનો નિર્ણય લેવાયો છે.


આ બેઠકમા કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવા આગામી સોમવાર 10 જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓમાં આયુષ દ્વારા દરરોજ 2 હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડવાનું આયોજન થઈ ગયું છે તેની સનીક્ષા પણ કરાઈ હતી. ઉકાળાનો લાભ વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા પણ આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી


અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાના વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસીંગ-ટ્રેકીંગ અને જરૂરતમંદ કેસોમાં આઇસોલેશન તથા હોસ્પિટલોમાં દવાઓ, ઓક્સિજન બેડ વિગેરેની સંપૂર્ણ વિગતો આપી હતી


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  જીલ્લા વહિવટી તંત્રોની આ સજ્જતા અંગે ની સમીક્ષા કરતા કહ્યું કે, જિલ્લાના પ્રભારી સચિવોનું જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે તેમને જિલ્લાઓમાં પહોંચવા સૂચના આપી દેવાઈ છે. એટલું જ નહિ સરકાર તરફથી જરૂરી તમામ મદદ જિલ્લાઓને પહોચાડવાનું સઘન આયોજન થયું છે.


ભૂપેન્દ્ર પટેલે આ જિલ્લા અને શહેરી તંત્રવાહકોને અનુરોધ કર્યો કે જે વ્યક્તિઓ હોમ આઇસોલેશનમાં રહેલા હોય તેમનું અને તેમાંથી હોસ્પિટલમાં એડમીટ થયા હોય તેમનું પણ સતત મોનિટરીંગ કરવામાં આવે તે ઇચ્છનિય છે


 મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંજક કુમાર, આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવ મુકેશ કુમાર, વરીષ્ઠ સચિવો આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થયા હતા.