ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ, કોરોના મહામારી ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળાઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતીઓ માટે સૌથી મહત્વનો ગણાતા નવરાત્રિ ઉત્સવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે ગરબા આયોજકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આ મુદ્દે વાત કરી હતી.


આ અંગે ગરબા આયોજક ગ્રીષ્મા ત્રિવેદીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે 30 ઓગસ્ટ સુધી કોઈ પણ આયોજનનો નિર્ણય લેવો શક્ય નથી. પરિસ્થિતિ સુધરશે તો સરકાર વિચારશે અને નવી ગાઇડલાઇન આપશે. તેમણે આયોજકોની વેદના સાંભળવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

કોરોના વાયરસ મહામારીમા નવરાત્રી ઉજવણીને લઈ આયોજકો ચિંતામાં છે. અમદાવાદ, રાજકોટ તથા સુરત સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોના આયોજકો મુખ્યમંત્રીને મળવા પોહોંચ્યા હતા. આયોજકોએ મુખ્યમંત્રી રૂપાણી સાથે નવરાત્રિના આયોજન અંગે બેઠક કરી હતી. જોકે, હાલ, નવરાત્રિ થશે કે નહીં, તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. 30 ઓગસ્ટ પછી આગામી પરિસ્થિતિ જોઇને આ અંગે કોઈ નિર્ણય આવી શકે છે.

રાજ્યના ગરબા આયોજકો મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતાં. જ્યાં આયોજકોએ રજૂઆત કરી કે સોશિયલ ડિસ્ટસિંગ સાથે ગાઈડલાઈન જાહેર કરવામાં આવે તો અનેક લોકોને રોજગારી મળી શકે. જોકે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે, 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં કોઈ પણ આયોજનની શક્યતા નથી. 30 ઓગસ્ટ બાદ પરિસ્થિતિને ધ્યાને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરી શકાય.