ગાંધીનગર: દેશમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિન અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું અમે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી ફ્રન્ટ લાઈન વોરિયર્સને વેક્સિનેશન ન થાય ત્યાં સુધી કોઈ મંત્રી ધારાસભ્ય કે સંસદ સભ્ય કે પક્ષના હોદ્દેદારો વેક્સિન નહી લેશે. ધારાસભ્ય, સાંસદ કે નેતાઓએ વેક્સિન માટે રાહ જોવી પડશે. પ્રથમ તબક્કામાં રાજનેતાઓના વેક્સિનેશન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે. નીતિન પટેલે કહ્યું પ્રથમ તબક્કામાં માત્ર કોરોના વોરિયર્સને જ વેક્સિન આપવામાં આવશે, નેતાઓને નહી.


રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી 16 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રધાનમંત્રી સાથે ચર્ચા થઈ છે. 3 કરોડ કોરોનાં વોરિયર્સનો ખર્ચ ભારત સરકાર કરશે. ફ્રન્ટ લાઇન વોરિયર્સનો બોજો રાજય સરકાર પર નહીં પડે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે,પ્રથમ તબક્કાનું 50 ટકા કામ પુર્ણ થાય ત્યારે પીએમ ફરી રાજ્યોનાં સીએમ સાથે બીજી બેઠક કરશે. આવતીકાલ સુધીમાં વેક્સિન આવશે તેવી શક્યતા છે. પ્રથમ ડોઝ બાદ 29મા દિવસે બીજો ડોઝ અપાશે. 45 દિવસ બાદ વેક્સિનની અસર જોવા મળશે. તેનામાં એન્ટી બોડી ડેવલપ થશે.