અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાતાં જ ગુજરાત સરકારે રાત્રિ કરફ્યુ સહિતના નિયંત્રણો હળવા કર્યા છે. ગુજરાત સરકારે હોટલ-રેસ્ટોરન્ટમાં રાત્રે હોમ ડિલીવરી કરી શકાશે એવી છૂટ પણ આપી છે. હોમ ડિલિવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે.


આ ઉપરાંત 60 ટકાની ક્ષમતા સાથે  હોટલ-રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. આ સિવાય રાજ્યભરમાં બજારો-દુકાનો પણ રાત્રે નવ વાગે સુધી ખુલ્લી રાખી શકાશે. લગ્ન પ્રસંગમાં પણ હવે 100 જણાં હાજર રહી શકશે. સરકારે લગ્નપ્રસંગમાં જનારાંની સંખ્યાની સાથે સાથે અંતિમક્રિયામાં જનારાં લોકોની સંખ્યામાં પણ વધારો કર્યો છે. અત્યાર સુધી અંતિમક્રિયામાં 20 જણાં જઇ શકતા હતાં પણ હવે 40 જણાને છૂટ અપાઇ છે.


આ સિવાય રાજ્ય સરકારે એસટી બસોમાં સરકારે 75 ટકા મુસાફરો સાથે મુસાફરીની છૂટ આપી છે. એસટી બસ કરફ્યુ સમયમાં ય ચાલુ રહેશે.


રાજ્ય સરાકરે વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ, સોમનાથ, પાલનપુર, હિમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ, ગોધરા, છોટા ઉદેપુર, વિરમગામમાંથી રાત્રિ કરફ્યુ હટાવી લીધો છે.


રાજ્ય સરકારે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા, સુરત, વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, ભૂજ, પાટણ, મોરબી, ગાંધીધામમાં રાત્રિ કરફ્યુ યથાવત રાખ્યો છે.  આ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે.   આ 18 શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.  રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. કરફ્યુનો અમલ છે તે  18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.