ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે નવા 45 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1 વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. આજના નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 617એ પહોંચી ગઈ છે. મહત્વની વાત એ છે કે, ગુજરાતના 13 એવા જિલ્લાઓ છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

કોરોનાને લઈને ગુજરાતીઓ માટે ખુશખબર છે. ગુજરાતના 13 જિલ્લાઓમાં હજુ સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જેમાં અમરેલી, અરવલ્લી, બોટાદ, ડાંગ, દેવભુમી દ્વારકા, જુનાગઢ, ખેડા, મહિસાગર, નર્મદા, નવસારી, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. ત્યારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધનમાં પણ કહ્યું છે કે, દેશના ઘણાં વિસ્તારોમાં 20 એપ્રિલ સુધી સારી સ્થિતિ રહેશે તો તે વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવશે. ત્યારે ગુજરાતના એવા 13 જિલ્લાઓ છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જો આગામી 20 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં આવી જ સ્થિતિ રહેશે તો ગુજરાતના 13 જિલ્લાઓમાં છૂટછાટ મળે તેવી શક્યતા છે.

આજે જે નવા 45 કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદના 31, સુરતમાં 9, ભાવનગર-દાહોદ-ગાંધીનગરમાં 1-1 કેસ અને મહેસાણામાં 2 નવા કેસ સામે આવ્યા છે. જે એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવી છે તે 20 વર્ષનો યુવક અમદાવાદ એસવીપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો છે.

ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા પોઝિટિવ કેસ છે તેના સંપૂર્ણ આંકડા પર નજર કરવી હોય તો https://gujcovid19.gujarat.gov.in/ પર તમે ક્લિક કરીને જોઈ શકો છો.

ગુજરાતમાં જે 617 કેસ જેમાંથી 9 ક્રિટિકલ છે જ્યારે 527 સ્ટેબલ છે. જ્યારે 55 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 26એ પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 1996 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 79 પોઝિટિવ, 1917 નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 14980 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 617 પોઝિટિવ આવ્યા છે જ્યારે 14363 નેગેટિવ આવ્યા છે.

ગુજરાતમાં જે 617 કેસ કોરોનાના આવ્યાછે તેમાંથી 33 કેસ વિદેશી આવેલ વ્યક્તિઓના છે. જ્યારે 34 કેસ આંતર રાજ્યથી ચેપ લાગેલ છે અને 550 કેસ લોકલ ટ્રાન્સમિશનથી લાગેલ છે જે ચિંતાનો વિષય છે.