ગીર સોમનાથ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે કોઈની લાગવગ નહીં ચાલે. આ નિવેદન કર્યું છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે. ગીર સોમનાથમાં ભાજપના કાર્યાલયના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પહોંચેલા પાટીલે સંબોધન કર્યું હતું. જેમાં તેમણે વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાના લક્ષ્યાંકને પાર પાડવા કાર્યકર્તાઓમાં જુસ્સો ભર્યો હતો. આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે, પાર્ટીના કાર્યકરોનું જેમને સમર્થન હશે તેમને જ ટિકિટ મળશે. 


ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, વિધાનસભાની ટિકિટ માટે કોઈ લાગવગ નહીં ચાલે. નવી કેડર ઉભી કરાશે અને નાના કાર્યકર્તાઓને પણ સ્થાન મળશે.  વિધાનસભાની ચૂંટણીને લઈ ચાલતી અટકળોને લઈને પણ પાટીલે મોટું નિવેદન આપ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખે દાવો કર્યો કે, રાજ્યમાં ચૂંટણી યોગ્ય સમયે જ થશે. 


ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માનો હુંકારઃ 2022માં ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર બનશે


ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્મા આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પહોંચેલા રઘુ શર્માનું કોંગ્રેસના નેતાઓએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતાં રઘુ શર્માએ કહ્યું હતું કે, મને ગુજરાતના પ્રભારીની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઇ છે. અમે અનેક ઉતાર ચઢાવ જોયા છે. અમે એક થઈને ભાજપ સાથે મુકાબલો કરીશું. 



તેમણે ગુજરાતની ધરતી પર ઉતરતા જ મોટો દાવો કર્યો કે, 2022માં ગુજરાતમાં કોગ્રેસની સરકાર બનશે. મારી પ્રાથમિકતા ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાની હશે. પ્રદેશથી બુથ લેવલ સુધી કોંગ્રેસને મજબૂત બનાવીશું. કોંગ્રેસ સડક પર ઉતરીને સરકાર વિરુદ્ધ આંદોલન કરશે. રાજસ્થાનના આરોગ્યમંત્રી તરીકે હું સફળ, ગુજરાતના આરોગ્યમંત્રી નિષ્ફળ એટલે બદલાયા.



તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપનું મંત્રી મંડળ અસફળ હતું તે ભાજપે જ ફેરફાર કરીને સ્વીકાર્યું. ભાજપને ચિંતા માત્ર ચૂંટણી જીતવાની છે. ગુજરાતની જનતાની ભાજપને ચિંતા નથી. અમદાવાદ આવી પહોંચેલા રઘુ શર્મા એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ જશે, ત્યાંથી ભદ્રકાળી મંદિર અને તે પછી જગન્નાથ મંદિરે દર્શન માટે જશે. અમદાવાદ એરપોર્ટ પર રઘુ શર્માને આવકારવા માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.