રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના 400થી વધુ દૈનિક કેસ નોંધાવવાનો ક્રમ સતત છઠ્ઠા દિવસે યથાવત રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં 454 નવા કેસ નોંધાયા હતા. હાલમાં 2522 એક્ટિવ કેસ છે. જ્યારે 37 દર્દી વેન્ટિલેટર પર છે.


રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 2,500ને પાર થયો હોય તેવું 5 ફેબ્રુઆરી બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ જિલ્લામાંથી કોરોનાના સૌથી વધુ 114 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાંથી 112-ગ્રામ્યમાંથી 2 કેસનો સમાવેશ થાય છે.

તો સુરત શહેરમાં 81 અને ગ્રામ્યમાં 6 સાથે 87, વડોદરા શહેરમાં 74 અને ગ્રામ્યમાં 12 સાથે 86 જ્યારે રાજકોટ શહેરમાં 45 અને ગ્રામ્યમાં 7 સાથે 52 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ વડોદરામાં કોરોનાના કુલ કેસનો આંક 30 હજારને પાર થયો છે. જો કે ભાવનગર ગ્રામ્ય, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, નર્મદા, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 90, વડોદરામાંથી 68, સુરતમાંથી 65, રાજકોટમાંથી 39 એમ રાજ્યભરમાંથી કુલ 361 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 2 લાખ 63 હજાર 837 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ 97.44 ટકા થયો છે.