નવી દિલ્લીઃ પંતજલિ દ્વારા આજે કોરોના માટેની આર્યુવેદિક દવા દિવ્ય કોરોનિલ ટેબ્લેટ લોંચ કરવામાં આવી છે. દિવ્ય કોરોનિલ ટેબ્લેટની સાથે શ્વસારી અને અણુ તેલ મળી કોરોના કીટ લોંચ કરવામાં આવી છે. બાબા રામદેવ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ત્રણેયના એક સાથે ઉપયોગથી કોરોના સંક્રમણ દૂર કરી શકાય છે.


બાબા રામદેવે દાવો કર્યો છે કે, શરીરમાં ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસારી આપવાથી ફાયદો થશે. તે શરદી, ઉધરસને પણ એકસાથે મટાડે છે. અણુ તેલ નાકમાં નાખવામાં આવે છે અને તે કોરોના સામે રક્ષણ આપે છે. આમ, ત્રણેયના એક સાથે ઉપયોગથી કોરોના મટાડી શકાય છે.

બાબા રામદેવે જણાવ્યું હતું કે, પૂરો દેશ અને દુનિયા જે ક્ષણની રાહ જોઈ રહ્યો હતો કે, ક્યાંકથી તો કોરોનાથી દવા આવશે, તે સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની પહેલી આર્યુવેદિક દવા બનાવવામાં આવી છે. જે ક્લીનીકલી કંટ્રોલ્ડ ટ્રાયલ બેઝ્ડ, એવિડેન્સ રિસર્ચ બેઝ્ડ મેડિસિન પતંજલી રિસર્ચ સેન્ટર અને નીમ્સના સંયુક્તથી તૈયાર થઈ ગઈ છે.

તેમણે જણાવ્યું હતું કે, અમે બે ટ્રાયલ કર્યા એક કંટ્રોલ્ડ ક્લીનીકલ સ્ટડી. જે દિલ્લી, અમદાવાદ, મેરઠ સહિત અનેક શહેરોમાં કરવામાં આવી. આ સ્ટડીમાં 280 દર્દીઓ હતા. જેના પરિણામ અપ્રતિમ હતા. જેમાં 100 ટકા દર્દીઓની રિકવરી થઈ. જેમાં 3 દિવસની અંદર 69% દર્દીઓ કોરોના પોઝિટિવમાંથી નેગેટીવ થયા હતા અને 100% દર્દીઓ 7 દિવસની અંદર સ્વસ્થ થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, આ એક ઐતિહાસિક ઘટના છે. બીજો તબક્કો હતો ક્લીનીકલ કંટ્રોલ ટ્રાયલ. જેના માટે પતંજલિ રિસર્ચ સેન્ટર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(નીમ્સ)ના સંયુક્ત પ્રયાસથી આ સંભવ થયું.