નવી દિલ્લીઃ દેશમાં દર 15મી વ્યક્તિને કોરોના હોવાનો ઘટસ્ફોટ આઇસીએમઆરે કર્યો છે. આઈસીએમઆરે કરેલા બીજા સીરો-સર્વેમાં આ ઘટસ્ફોટ કર્યો છે. સર્વેમાં જણાવાયું છે કે દેશની વસતીનો એક મોટોભાગ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. ઓગસ્ટ 2020 સુધીમાં 10 વર્ષથી વધુ વયની દરેક 15મી વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.


તેમણે દાવો કર્યો છે કે, ભારતમાં કોરોના આંશિક રીતે નબળો પડયો હોય તેમ જણાઈ રહ્યું છે. દેશમાં મંગળવારે કોરોનાના નવા 82,473 કેસ નોંધાયા હતા. જ્યારે 85,481 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં 24 કલાકમાં કોરોનાથી વધુ 1167નાં મોત નીપજ્યાં છે.

આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 62,13,008 થઈ છે, જેમાંથી 51,74,418 દર્દી સાજા થયા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 97,411 થયો છે, તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં માહિતી આપવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, આઈસીએમઆર દ્વારા હાથ ધરાયેલા બીજા સીરો સર્વે મુજબ દેશની મોટી વસતી હજી પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી શકે છે. આઈસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે જણાવ્યું કે, બીજા રાષ્ટ્રવ્યાપી સીરો સર્વે મુજબ ઓગસ્ટ 2020 સુધીમાં દેશમાં 10 વર્ષથી વધુ વયની દર 15મી વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. સીરો રિપોર્ટમાં મોટી વસતીના કોરોનાની ઝપેટમાં આવવાની આશંકા વ્યક્ત થઈ છે.