અમદાવાદઃ રાજ્યના વાલીઓ માટે આજે આવી શકે છે મોટા સમાચાર. રાજ્ય સરકાર કોરોના કાળાની ફી મામલે વાલીઓના હીતમાં નિર્ણય લઈ શકે છે. સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં આજે સવાર સાડા દસ વાગ્યે કેબિનેટની બેઠક મળવાની છે.


હાઈકોર્ટના આદેશ બાદ રાજય સરકાર આજે મળનારી બેઠકમાં ખાનગી શાળાઓની ફીના મામલે મહત્વનો નિર્ણય લઈ શકે છે. તો શિક્ષણ મંત્રી સાથે ગઈકાલની બેઠકમાં વાલીઓમાં રીતસરના બે ફાંટા જોવા મળ્યા. વાલીમંડળના કેટલાક પ્રતિનિધિઓને સાથે રાખ્યા વગર જ અન્ય પ્રતિનિધિઓએ સરકાર સાથે બેઠક યોજી લેતા વાલીમંડળના કેટલાક સભ્યો નારાજ થયા અને બેઠકમાં સામેલ થનારા સભ્યો સામે ગંભીર આરોપ લગાવ્યા. તો ઓલ ગુજરાત વાલી મંડળના અધ્યક્ષ નરેશ શાહે કહ્યું કે, સોશલ ડિસ્ટન્સનાં કારણે ચાર વાલીઓને જ હાજર રહેવા આમંત્રણ હતું. વાલી મંડળના પ્રતિનિધિઓમાં જ આંતરિક મતભેદ સપાટી પર આવતા વાલીઓની ચિંતા વધી છે કે હવે શું થશે.

નોંધનીય છે કે, આ પહેલા ગુજરાતમાં ખાનગી સ્કૂલોની ફી મુદ્દે સંચાલકો સાથે સરકારે બેઠક કર્યા પછી ગયા સપ્તાહે વાલી મંડળો સાથે બેઠક કરી પણ તેમાં કોઈ નક્કર નિર્ણય ના લેવાતાં હવે 29 સપ્ટેમ્બરે ફરી બેઠક બોલાવીને નિર્ણય લેવાશે. બુધવારે વિજય રૂપાણી કેબિનેટમાં આ ફોર્મ્યુલાને મંજૂરી આપીને બુધવારે જાહેરાત કરાય તેવી શક્યતા છે.

દરમિયાનમાં એક અગ્રણી ગુજરાતી અખબાર દ્વારા દાવો કરાયો છે કે, ખાનગી શાળાના સંચાલકો 25 ટકા ફી ઘટાડા માટે તૈયાર થઈ ગયા છે. રાજ્ય સરકારે સંચાલક મંડળો સાથે અગાઉ બે વાર મીટિંગ કરી 25 ટકા ફી ઘટાડાની દરખાસ્ત કરી હતી પરંતુ સંચાલકો ન માનતા સરકારે હાઈકોર્ટમાં પીટિશન કરી હતી. હાઈકોર્ટે સરકારને જ પોતાની સત્તાનો ઉપયોગ કરી નિર્ણય લેવાનો આદેશ કરતા સરકારે ફરીથી સંચાલક મંડળોની મીટિંગ બોલાવી હતી. સરકાર પોતાની સત્તાનો ઉપયોગ કરી કડક પગલા લે તેના ડરથી ખાનગી સ્કૂલોના સંચાલકો હાલ 25 ટકા ફી ઘટાડા માન્યા છે એવો દાવો આ અહેવાલમાં કરાયો છે.

ગુજરાતના સ્વનિર્ભર સંચાલક મંડળ સાથે ગયા અઠવાડિયે થયેલી મીટિંગમા સરકારે સંચાલકોને સમજાવ્યા હતા અને સરકારની સમાધાનકારી ફોર્મ્યુલા હેઠળ વાલી મંડળોની મીટિંગ બોલાવી વાલી મંડળોને પણ સમજાવ્યા હતા. વાલી મંડળો હજુ 25 ટકા ફી ઘટાડા માટે સહમત થયા નથી અને વાલી મંડળોની માંગ 25 ટકાથી વધુ અને 50 ટકા સુધી ઘટાડાની છે. આ અંગે હવે પછીની બેઠકમાં નિર્ણય લેવાઈ જાય તેવી શક્યતા છે.