COVID 19: મુંબઈના ધારાવીમાં વધુ નવા 26 કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 9 લોકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Apr 2020 07:52 PM (IST)
મુંબઈની ઝૂંપડપટ્ટી ધારાવીમાં ગુરુવારે 26 જેટલા નવા કોરોના વાયરસના કેસ નોંધાયા બાદ ધારાવીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 86 પર પહોંચી છે.
મુંબઈ: મુંબઈની ઝૂંપડપટ્ટી ધારાવીમાં ગુરુવારે 26 જેટલા નવા કોરોના વાયરસના કેસ નોંધાયા બાદ ધારાવીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 86 પર પહોંચી છે. ગુરુવારે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. ધારાવીમાં કોવિડ -19 નાં કારણે મોતની સંખ્યા નવ પર પહોંચી છે. BMCના અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારે કોવિડ -19 ના કારણે લક્ષ્મી ચૌલ વિસ્તારના એક 58 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જેના કારણે ધારાવીમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 9 થયો છે. ધારાવી એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી છે. મુંબઈમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મુંબઈમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 2043 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 116 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 12759 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 420 લોકોના આ ખતરનાક વાયરસના કારણે મોત થયા છે. દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે.