Jammu-Kashmir:  જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરીઓ પર હુમલાઓ અટકવાનું નામ લઇ રહ્યા નથી. હવે આતંકવાદીઓએ અનંતનાગમાં બે પ્રવાસી મજૂરો પર હુમલો કર્યો છે. આતંકીઓની ફાયરિંગમાં બે મજૂરો ઘાયલ થયા છે. બંને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


હુમલા બાદ પોલીસે હુમલાખોરોને શોધવા માટે વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હવે અહીં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલા પણ 3 નવેમ્બરે અનંતનાગ જિલ્લામાં એક ખાનગી શાળામાં કામ કરતા મજૂરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ મજૂરોમાં એક મજૂર બિહારનો અને એક નેપાળનો હતો.






 


વાસ્તવમાં સુરક્ષા દળો અને પોલીસ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહ્યા છે. આતંકવાદીઓ તેનાથી ડરી ગયા છે તેથી જ તેઓ યુવાનો પર હુમલો કરી રહ્યા છે. ટાર્ગેટ કિલિંગને લઈને અહીં અનેકવાર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે. તાજેતરના કિસ્સામાં આતંકવાદીઓએ બે મજૂરોને ઘાયલ કર્યા છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ


એપ્રિલ-મે મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં સૌથી વધુ વધારો થયો છે. 12 મેના રોજ બડગામ જિલ્લામાં મહેસૂલ વિભાગના અધિકારી પર આતંકવાદીઓએ ગોળી મારી હતી. ઓફિસમાં ઘૂસીને આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ નામના અધિકારીને નિશાન બનાવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાહુલનું મોત થયું હતું.


31 મેના રોજ કુલગામમાં એક મહિલા શિક્ષિકા રજનીબાલાની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. તેઓ સાંબાના રહેવાસી હતા. કુલગામના ગોપાલપોરામાં તેમની હત્યા કરવામાં આવી હતી. રજની ગોપાલપોરા હાઈસ્કૂલમાં શિક્ષિકા હતી.


આ પછી જૂનમાં રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસી કુલગામમાં એક બેંક મેનેજર પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બેંક મેનેજર વિજય કુમારનું મોત થયું હતું.


3 નવેમ્બરના રોજ અનંતનાગ જિલ્લામાં એક ખાનગી શાળામાં કામ કરતા મજૂરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ મજૂરોમાં એક મજૂર બિહારનો અને એક નેપાળનો હતો.