Jammu Kashmir Kulgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના કેલ્લામ વિસ્તારમાં આતંકવાદીઓએ ઈંટના ભઠ્ઠા પર કામ કરતા છત્તીસગઢના બે શ્રમિકને નામ પૂછ્યા બાદ તેમના પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બંને મજૂરોના મોત થયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષા દળોએ આતંકવાદીઓની શોધખોળ માટે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

 
દક્ષિણ કાશ્મીરમાં છેલ્લા 10 દિવસમાં આ બીજો મોટો આતંકી હુમલો છે, જેના કારણે ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
 
કેલ્લામ વિસ્તારમાં ઈંટના ભઠ્ઠા પર હુમલો
 
શુક્રવારે મોડી સાંજે કુલગામ જિલ્લાના કેલ્લામ વિસ્તારમાં આવેલા ઈંટના ભઠ્ઠા પર કામ કરતા બે પરપ્રાંતીય શ્રમિકને આતંકવાદીઓએ નિશાન બનાવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ આતંકવાદીઓએ પહેલા બંનેની ઓળખ અને નામ પૂછ્યા બાદ તેમના પર ગોળીબાર કર્યો હતો.  હુમલામાં એક શ્રમિકનું  ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ શ્રમિકને   હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા.  જોકે સારવાર દરમિયાન શનિવારે તેનું પણ મોત થયું હતું.
 
બંને મૃતકો છત્તીસગઢના રહેવાસી
 
હુમલામાં જીવ ગુમાવનાર મજૂરોની ઓળખ 24 વર્ષીય દીપક રાત્રે અને 28 વર્ષીય ભોપિન્દર તરીકે થઈ છે. દીપક રાત્રેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ભોપિન્દરને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે શેર એ કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (SKIMS) શિફ્ટ કરવામાં આવ્યા હતા.  ડોક્ટરોના જણાવ્યા મુજબ ભોપિન્દરની છાતીના જમણા ભાગમાં ગોળી વાગી હતી અને સારવાર દરમિયાન તેમણે પણ અંતિમ શ્વાસ લીધા.
 
TRF પર હુમલાનો આરોપ
પ્રાથમિક તપાસમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) પર આ હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો છે. માહિતી અનુસાર શુક્રવારે રાત્રે આશરે 8:30 વાગ્યે આતંકવાદીઓએ ઈંટના ભઠ્ઠા પર હુમલો કરીને મજૂરોને નિશાન બનાવ્યા હતા. જોકે સુરક્ષા એજન્સીઓ તમામ પાસાઓથી ઘટનાની તપાસ કરી રહી છે.
 
સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન શરૂ
 
હુમલા બાદ ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ગુપ્તચર માહિતીના આધારે આતંકવાદીઓની શોધ માટે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
 
10 દિવસમાં દક્ષિણ કાશ્મીરમાં બીજો મોટો હુમલો
 
આ ઘટના દક્ષિણ કાશ્મીરમાં છેલ્લા 10 દિવસમાં થયેલો બીજો મોટો આતંકી હુમલો છે. આ અગાઉ 22 જુલાઈએ અનંતનાગના લાલ ચોક વિસ્તારમાં આતંકવાદીઓએ હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશીની ગોળી મારી હત્યા કરી હતી. તેઓ IRની ત્રીજી બટાલિયનમાં ફરજ બજાવતા હતા અને અમરનાથ યાત્રાની સુરક્ષા ડ્યૂટી પર તૈનાત હતા.
 
પહેલગામ હુમલા બાદ ફરી વધી ચિંતા
 
એપ્રિલ 2025માં પહેલગામના બૈસરન વિસ્તારમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. તે હુમલામાં આતંકવાદીઓએ પ્રવાસીઓને ધર્મના આધારે નિશાન બનાવ્યા હતા. હવે કુલગામમાં પરપ્રાંતિય  હિન્દુ મજૂરોની હત્યા બાદ ફરી એકવાર કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વધી છે.
 
છત્તીસગઢના મુખ્યમંત્રીએ  શોક વ્યક્ત કર્યો
 
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે આ હુમલાની કડક નિંદા કરી છે. તેમણે તેને કાયરતાપૂર્ણ હુમલો ગણાવી બંને શ્રમિકોના મોત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે રાજ્ય સરકાર પીડિત પરિવારોની સાથે છે.
 
ઉપરાજ્યપાલે કડક કાર્યવાહીનો આપ્યો આદેશ
 
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પણ હુમલાની નિંદા કરી છે. તેમણે પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાત સહિતના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.ઉપરાજ્યપાલે સુરક્ષા દળોને સર્ચ ઓપરેશન વધુ તેજ કરવાની તેમજ હુમલામાં સામેલ આતંકવાદીઓને શક્ય તેટલી વહેલી તકે પકડી પાડવા  માટે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
 
પરપ્રાંતિય શ્રમિક  અગાઉ પણ બન્યાં છે નિશાન
 
પરપ્રાંતિય શ્રમિક  પર હુમલો આ  પહેલી ઘટના નથી. ફેબ્રુઆરી 2024માં શ્રીનગરના શહીદગંજ વિસ્તારમાં આતંકવાદીઓએ પંજાબના બે શ્રમિકની ગોળી મારી હત્યા કરી હતી. વારંવાર બની રહેલા આવા હુમલાઓથી સ્પષ્ટ થાય છે કે આતંકવાદી સંગઠનો ફરી એકવાર બિન-સ્થાનિક લોકોને નિશાન બનાવી કાશ્મીર ખીણમાં ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.