રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો. જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક બસમાં અચાનક આગ લાગી ગઈ, જેમાં 20થી વધુ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પોકરણના ભાજપના ધારાસભ્યે અત્યાર સુધીમાં 20 લોકોના મોતની પુષ્ટી કરી છે. આ અકસ્માત બપોરે 3:30 વાગ્યે જેસલમેરથી લગભગ 20 કિલોમીટર દૂર થૈયત ગામ પાસે થયો હતો.
બસના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ બપોરે 3 વાગ્યે જેસલમેરથી 50થી વધુ મુસાફરો સાથે રવાના થઈ હતી. થૈયત ગામ પાર કરતા જ પાછળના ભાગમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો અને થોડીવારમાં જ આખી બસ આગની લપેટમાં આવી ગઈ. મુસાફરો ચીસો પાડવા લાગ્યા. ઘણા લોકો બારીઓ અને દરવાજાઓમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
ગ્રામજનો અને રાહદારીઓએ બચાવ કામગીરી શરૂ કરી
ગામવાસીઓ અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમણે નજીકના પાણીના સ્ત્રોતોમાંથી પાણી અને રેતીનો ઉપયોગ કરીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. દરમિયાન, માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવામાં લગભગ એક કલાક લાગ્યો હતો.
"જ્યારે અમે પહોંચ્યા, ત્યારે કોઈ જીવતું મળ્યું ન હતું."
મ્યુનિસિપલ કાઉન્સિલના ફાયર ફાઇટર અને સહાયક ફાયર ઓફિસર પૃથ્વીપાલ સિંહ રાઠોડે જણાવ્યું હતું કે માહિતી મળ્યાના 10 મિનિટમાં ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઈ હતી. તેમણે કહ્યું, "જ્યારે અમે પહોંચ્યા, ત્યારે અમને કોઈ જીવતું મળ્યું ન હતું."
સ્થાનિકો અને પોલીસની મદદથી બધા ઘાયલોને ત્રણ એમ્બ્યુલન્સમાં જેસલમેરની જવાહર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને પ્રાથમિક સારવાર બાદ જોધપુર રિફર કરવામાં આવ્યા હતા.
મૃતકોના પરિવારજનો માટે 2 લાખની સહાયની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેસલમેરની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું હતું કે, "રાજસ્થાનના જેસલમેરમાં થયેલા અકસ્માતથી હું દુઃખી છું. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ પીડિત લોકો અને તેમના પરિવારો સાથે છે." હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000ની સહાય કરાશે.
મુખ્યમંત્રીએ પટનામાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમ મુલતવી રાખ્યો
અકસ્માત બાદ મુખ્યમંત્રી ભજન લાલ શર્મા જેસલમેર પહોંચ્યા. તેમણે જેસલમેરમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સૈન્ય કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોનો તેમની મદદ અને સહાય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પોકરણના ધારાસભ્ય પ્રતાપ પુરી અને ધારાસભ્ય સાંગ સિંહ ભાટી, વહીવટી અધિકારીઓ પણ હાજર હતા. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઘટનાની ગંભીરતા અને દુર્ઘટનાને કારણે આવતીકાલે પટનામાં તેમનો ચૂંટણી પ્રચાર કાર્યક્રમ મુલતવી રાખ્યો છે.
અશોક ગેહલોતે દુઃખ વ્યક્ત કર્યું
રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતુ કે, "જૈસલમેરથી જોધપુર જતી બસમાં ભીષણ આગ લાગવાના દુઃખદ સમાચાર મળ્યા છે, જેના પરિણામે ઘણા લોકોના મોત થયા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછી જાનહાનિ થાય અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય."
અધિકારીઓનું કહેવું છે કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી, જોકે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા એન્જિન વધુ ગરમ થવાનું કારણ સૂચવવામાં આવી રહ્યું છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.