દેહરાદૂન: ઉત્તરાખંડમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. પ્રદેશમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા 900ને પાર પહોંચી છે. સોમવારે ઉત્તરાખંડમાં કોરોનાના 23 નવા કેસ સામે આવ્યા છે. આ નવા કેસ સાથે પ્રદેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 929 પર પહોંચી છે.


720 દર્દીઓની ચાલી રહ છે સારવાર

રાજ્યમાં કોરોનાના 720 એક્ટિવ કેસ છે. તમામ દર્દીઓની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે 200 દર્દીઓ સ્વસ્થ થયા છે. સોમવારે 98 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ઉત્તરાખંડમાં કોરોના વાયરસના કારણે 6 લોકોના મોત થયા છે જ્યારે ત્રણ પ્રદેશની બહાર જતા રહ્યા છે.

પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર નવા કેસ ચંપાવત અને હરિદ્વારમાં સામે આવ્યા છે. ચંપાવતમાં 15 અને હરિદ્વારમાં 8 કોરોનાના દર્દી મળ્યા છે. આ તમામ 23 વ્યક્તિ હાલમાં મુંબઈથી અહીં આવ્યા હતા.

મંત્રીમંડળને આઈસોલેશનમાં મોકલવાની જરૂર નથી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવત સહિત પૂરી કેબિનેટ પોતાનું કામ સામાન્ય રીતે કરતા રહેશે અને તેમણે આઈસોલેશન વોર્ડમાં જવાની આવશ્યકતા નથી. સ્વાસ્થ્ય સચિવ અમિત નેગીએ આ જાણકારી આપી હતી. કાલે પ્રદેશના પર્યટન મંત્રી સતપાલ મહારાજ તેમના પરિવાર અને કર્મચારી સહિત 22 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. સતપાલ મહારાજે શુક્રવારે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ભાગ લીધો હતો.