નવી દિલ્હીઃ કોરોના મહામારીના પ્રથમ લહેર દરમિયાન કેન્દ્નની મોદી સરકારે શરૂ કરેલી મહત્વાકાંક્ષી સ્કીમ આત્મનિર્ભર ભારત યોજનાનો લાભ હવે જોવા મળી રહ્યો છે. લોકડાઉન દરમિયાન નોકરી ગુમાવી ચુકેલા અને બેરોજગારોને નોકરી આપવા માટે શરૂ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત છેલ્લા 10 મહિનામાં આશરે 30 લાખ 29 હજાર (3.29 મિલિયન) નોકરીનું સર્જન કરવામાં આવ્યું છે. આ વાતની જાણકારી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આપવામાં આવી છે.


સરકારે કેટલા લોકોને રોજગારીનો રાખ્યો છે લક્ષ્યાંક


ધ ઈકોનોમિક્સ ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, આત્મનિર્ભર ભારત યોજનાની શરૂઆત થયાના એક વર્ષ બાદ આ સ્કીમ અંતર્ગત દેશમાં આશરે 3.29 મિલિયન લોકોને રોજગારી આપવામાં આવી છે. સરકારે આ યોજના 31 માર્ટ, 2022ના રોજ સમાપ્ત થાય ત્યાં સુધીમાં આશરે 5.85 મિલિયન રોજગારીના સર્જનનો લક્ષ્ય રાખ્યો છે.


છ મહિનામાં કેટલી રોજગારી ઉભી કરવી પડશે


રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આગામી છ મહિનામાં 2.56 મિલિયન નોકરીના સર્જન કરવાની જરૂર છે. કુલ નોકરી સર્જનમાં 2.88 મિલિયન નવા કર્મચારીઓ સામેલ છે, જ્યારે 0.41 મિલિયન ફરીથી લાભાર્થી છે. સપ્ટેમ્બર 2021 સુધી આ સ્કીમ અંતર્ગતત 1845 કરોડ રૂપિયા વિતરીત કરવામાં આવ્યા છે. જે 31 માર્ચ 2024 સુધી ખર્ચ કરવામાં આવનારા 22,810 કરોડ રૂપિયાના માત્ર 8 ટકા હતા. સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાની શરૂઆત નવેમ્બર 2020માં કરાઈ હતી. શરૂઆતમાં આ યોજોનાને 1 ઓક્ટોબર 2020 થી 30 જૂન 2021 સુધી લાગુ કરવામાં આવી હતી. પરંતુ બીજી લહેર દરમિયાન તેને 31 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી હતી. આ યોજના અંતર્ગત સરકાર 1 ઓક્ટોબર 2020 અને 31 માર્ચ 2022 દરમિયાન 1000 કર્મચારીઓ વાળી કંપનીઓમાં નવી ઔપચારિક નોકરીઓ માટે 24 ટકા રકમ બે વર્ષ માટે આપશે, આ યોજના 15 હજાર રૂપિયા પ્રતિ મહિનાથી ઓછી રકમવાળા કર્મચારીઓ પર લાગુ થાય છે.