નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, કેન્દ્રના અધિકારીએ જાણકારી આપીછે કે દિલ્હીમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું. જ્યારે એવો અંદાજ છે કે 31 જુલાઈ સુધી કોરોનાના કેસ વધીને 5.5 લાખ સુધી પહોંચી શકે છે.


જુલાઈ અંત સુધી 80 હજાર બેડની જરૂરત પડવાની શક્યતા

ડીડીએમએની સાથે એક બેઠક બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દિલ્હીમાં જુલાઈ અંત સુધીમાં 80,000 બેડની જરૂરત પડશે. બેઠકની અધ્યક્ષતા ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ કરી રહ્યા હતા જે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ પણ છે.


દિલ્હીમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન નહીં- સિસોદિયા

સિસોદિયાએ મીડિયાને કહ્યું કે, ‘કેન્દ્રના અધિકારીઓએ બેઠકમાં કહ્યું કે, દિલ્હીમાં કોવિડ-19નું કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું.’ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, દિલ્હીની સરકાર અને ખાનગી હોસ્પિટલને દિલ્હીના લોકો માટે રિઝર્વ રાખવાના દિલ્હી સરકારના નિર્ણયને રદ્દ કરવાના પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરવાની ઉપ રાજ્યપાલે ના પાડી દીધી છે.