Uttar Pradesh : લાઉડસ્પીકર વિરુદ્ધનું અભિયાન ચાલુ રાખીને ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રવિવાર સુધીમાં રાજ્યભરના વિવિધ ધાર્મિક સ્થળો પરથી 53,942 લાઉડસ્પીકર હટાવી દીધા છે. ઉત્તર પ્રદેશના અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં, રવિવારના રોજ સવારે 7 વાગ્યા સુધી, રાજ્યભરના વિવિધ ધાર્મિક સ્થળો પરથી 53,942 લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા છે, જ્યારે 60,295 લાઉડસ્પીકર્સનો અવાજ ઓછો કરવામાં આવ્યો છે."


24 એપ્રિલે યોગી સરકારે રાજ્યમાં ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદે લાઉડસ્પીકર હટાવવાનો આદેશ જાહેર  કર્યો હતો. રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થીએ જણાવ્યું હતું કે, "આ અંગે જિલ્લાઓ પાસેથી અહેવાલો માંગવામાં આવ્યા છે. પોલીસને ધાર્મિક નેતાઓ સાથે વાત કરવા અને અનધિકૃત લાઉડસ્પીકરોને દૂર કરવાની ખાતરી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે."


 મહારાષ્ટ્રથી શરૂ થયો હતો લાઉડસ્પીકરનો વિવાદ
લાઉડસ્પીકર વિવાદ સૌથી પહેલા મહારાષ્ટ્રમાં શરૂ થયો હતો અને ઉત્તરપ્રદેશ પહોંચ્યો. લાઉડસ્પીકર વિવાદ બાદ સીએમ યોગી આદિત્યનાથે આ અંગે ઘણી ગાઇડલાઇન  આપી હતી અને પરવાનગી વિનાના  લાઉડસ્પીકર હટાવવાનો આદેશ આપ્યો હતો. જે બાદ ધાર્મિક સ્થળો પરથી અત્યાર સુધીમાં 54 હજાર જેટલા લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે.