Delhi Assembly Election 2025: દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન, આમ આદમી પાર્ટીએ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માના સમર્થકો પર અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. AAPનો દાવો છે કે નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર દરમિયાન તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
બીજી તરફ બીજેપી નેતા પ્રવેશ વર્માનો દાવો છે કે તેમના સમર્થકો પર એક ગાડી ચડાવવામાં આવી. પ્રવેશ વર્માએ દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલે તેમના સમર્થક પર વાહન ચઢાવ્યું હતું, જેના કારણે ભાજપના કાર્યકરને પગમાં ઈજા થઈ હતી. તેમણે કહ્યું કે હું કાર્યકરને જોવા માટે હોસ્પિટલ જઈ રહ્યો છું.
AAPએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલની કાર પર હુમલો કરવામાં આવ્યો છે. કેજરીવાલને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા અને પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા.
હારના ડરથી ભાજપ ગભરાઈ ગયું- AAP
આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા એક્સ પર લખવામાં આવ્યું છે કે, હારના ડરથી ભાજપ ગભરાઈ ગયું. પોતાના ગુંડાઓ પાસે કેજરીવાલ પર હુમલો કરાવ્યો. ભાજપ નેતા પ્રવેશ વર્માના ગુંડાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલજી પર ઈંટો અને પથ્થરોથી હુમલો કરી તેમે ઈજા પહોંચાડવાની કોશિશ કરી જેથી તેઓ પ્રચાર ન કરી શકે. કેજરીવાલ તમારા આ કાયરતાપૂર્ણ હુમલાથી ડરતા નથી, દિલ્હીની જનતા તમને જડબાતોડ જવાબ આપશે.
કેજરીવાલ પર હુમલા અંગે દિલ્હી પોલીસે કહ્યું કે તેમના પર કોઈ હુમલો થયો નથી, લાલ બહાદુર સદનમાં અરવિંદ કેજરીવાલની જાહેર સભા હતી, ભાજપના કેટલાક લોકો બેઠકમાં આવ્યા હતા અને પ્રશ્નો પૂછવા માંગતા હતા. આ દરમિયાન બંને તરફથી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પોલીસે બંને બાજુથી લોકોને દૂર કર્યા છે.