નવી દિલ્હી : પાકિસ્તાની સેના દ્વારા બુધવારે હિરાસતમાં લેવાયેલ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન આજે ભારત પરત ફરશે. પાકિસ્તાન દ્વારા અભિનંદનને મુક્ત કરવાની દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને આજે સાંજે ચાર વાગ્યાની આસપાસ વાઘા બોર્ડર ખાતે અભિનંદનની ઘર વાપસી કરશે.




વિંગ કમાન્ડર અભિનંદનની વતન વાપસીને લઈને દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અભિનંદનની વાપસીને લઈને વાઘા બોર્ડર પર સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. દેશવાસીઓ મોટી સંખ્યામાં બોર્ડર પર પહોંચી રહ્યા છે.



પાકિસ્તાન સૈન્ય ભારતીય પાયલોટ અભિનંદનને લઈને ઈસ્લામાબાદથી લાહોર જવા રવાના થયા છે. ત્યાર બાદ લાહોરથી વાઘા બોર્ડરથી ભારતની ધરતી પર એન્ટ્રી કરશે. અમૃતસર એયર બેઝથી દિલ્હી ખાતે લઈ જવામાં આવશે. ઈસ્લામાબાદથી લાહારોનું અંતર 375 કિલોમીટર જેટલું છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.



વાયુસેનાનું એક પ્રતિનિધિ મંડળ શુક્રવારે વિંગ કમાન્ડર અભિનંદનને લેવા માટે વાઘા બોર્ડર આવશે. અભિનંદનના માતા-પિતા પણ વાઘા બોર્ડર આવવા માટે નીકળી ગયા છે. ભારત પહોંચ્યા બાદ પાયલોટ અભિનંદનને અમૃતસર એયર બેઝ લાવવામાં આવશે. ત્યાર બાદ અમૃતસરથી દિલ્હી લઈ જવામાં આવશે.