કોલકત્તાઃ તૃણમૂલ કૉંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભત્રીજા અભિષેક બેનર્જીને પાર્ટીમાં મોટી જવાબદારી સોંપી છે. તેમને ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે. બંગાળ ચૂંટણી પહેલા લોકસભા સાંસદ અભિષેક બેનર્જીના બહાને વિપક્ષે મમતા બેનર્જી પર પરિવારવાદનો આરોપ લગાવ્યો હતો. પરંતુ હવે પાર્ટીએ ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ અભિષેકને નવી જવાબદારી સોંપી છે. 


ટીએમસી (યુવા) અધ્યક્ષ પદ પરથી આપ્યું રાજીનામું


અભિષેક બેનર્જી હાલમાં પાર્ટીના યુવા વિંગના અધ્યક્ષ હતા. પરંતુ 'એક નેતા એક પદ'ની પોલિસીને જોતા તેમણે યુવા વિંગના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું છે. મહત્વનું છે કે અભિષેક બેનર્જીએ ચૂંટણી દરમિયાન ખુબ પ્રચાર કર્યો હતો અને પાર્ટીને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહત્વનું છે કે અભિનેતાથી રાજનેતા બનેલી સયોની ઘોષને પાર્ટીએ યુવા વિંગની કમાન સોંપી છે. 


આ સિવાય બંગાળમાં જીત હાસિલ કર્યા બાદ ટીએમસીએ કિસાન નેતા રાકેશ ટિકૈતને બંગાળ આવવાનું આમંત્રણ આપ્યુ છે. પાર્ટીએ 9 જૂને રાકેશ ટિકૈતને બંગાળ આવવાની દાવત આપી છે. તમને જણાવી દઈએ કે ટિકૈતે નંદીગ્રામ જઈને પ્રચાર કર્યો હતો. 


હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાકેશ ટિકૈતને બંગાળ બોલાવ્યા છે અને કિસાન આંદોલનની આગળની રણનીતિ તૈયાર કરવાની વાત કહી છે. મહત્વનું છે કે મમતા બેનર્જી કિસાન આંદોલનના સમર્થનમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ સતત અવાજ ઉઠાવતા રહે છે. 


ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી ત્રીજી વખત પશ્ચિમ બંગાળની સત્તા પર બિરાજમાન થઈ ગયા છે.  આ તરફ બંગાળના રાજકીય ઈતિહાસમાં પહેલી વખત ભાજપ 3 બેઠકોથી વધીને 77 બેઠકો સુધી પહોંચ્યું છે અને મુખ્ય વિપક્ષી દળ બન્યું છે.


 પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કુલ 292 બેઠકોમાંથી ટીએમસીએ 213 બેઠકો પર જીત મેળવી હતી. 2016ની ચૂંટણીમાં ટીએમસીને 211 બેઠકો પર જીત મળી હતી. ભાજપના ખાતામાં 77 બેઠકો આવી છે. જ્યારે બે બેઠકો પર અન્યની જીત થઈ હતી.