નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા વાયરસ JN.1 ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના કેસ નોંધાયા છે. કેંદ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ કોરોનાના નવા વેરિઅન્ટને લઈ ચિંતિત છે. JN.1  વેરિયન્ટના કેસો સતત વધી રહ્યા છે. ભારતમાં એક્ટિવ કોરોનાવાયરસ કેસ મંગળવારે 4,100 ને વટાવી ગયા છે કારણ કે છેલ્લા 24 કલાકમાં JN.1 COVID-19 સબવેરિયન્ટના કુલ 412 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ ભારતમાં મંગળવારે સક્રિય કેસની સંખ્યા 4,170 હતી, જ્યારે કુલ મૃત્યુઆંક 5.33 લાખ પર પહોંચ્યો હતો.


છેલ્લા 24 કલાકમાં કોરોનાથી ત્રણ લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કુલ સકારાત્મક કેસોની સંખ્યા વધીને 4170 પર પહોંચી છે. સૌથી વધુ કર્ણાટકમાં 34 કેસ, મહારાષ્ટ્રમાં 9, ગોવમાં 14, કેરળમાં 6, તમિલનાડુમાં 4 અને તેલંગણામાં 2 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 293 દર્દીઓ સાજા થયા છે. મળતી માહિતી મુજબ દેશમાં કોવિડના સબ વેરિયન્ટ JN.1ના કુલ 66 દર્દીઓ છે. નવા સબ વેરિયન્ટના સૌથી વધુ કેસો ગોવામાં સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને તેલંગણામાં પણ કેસો નોંધાયા છે.


વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના પૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ.સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, હાલ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ ચિંતાનો વિષય નથી. તેમણે કહ્યું કે, લોકો ખુલ્લા વાતાવરણમાં રહે અને માસ્ક વગર અન્ય લોકોને મળવાનું ટાળે.


JN.1 સબ-વેરિયન્ટ શું છે ?


JN.1 સબ-વેરિયન્ટનો પ્રથમ કેસ દેશમાં ઓગસ્ટમાં સામે આવ્યો હતો. નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron)નો સબ-વેરિયન્ટ BA.2.86માંથી ઉદભવ્યો છે. 2022ની શરૂઆતમાં કોરોના કેસોમાં વધારો થવાનું મુખ્યકારણ BA.2.86 જ હતો. BA.2.86 વધુ ફેલાયો નહોતો, પરંતુ તેને નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી હતી, કારણ કે, BA.2.86માં સ્પાઈક પ્રોટીન પર વધારાના પરિવર્તનો થયા હતા અને તેની જેમ JN.1ના સ્પાઈક પ્રોટીનમાં પણ એક વધારાનું પરિવર્તન થયું છે.


નિષ્ણાંતો માને છે કે, વિશ્વસ્તરે કેસોમાં વધારો થાય બાદ સામે આવ્યું છે કે, JN.1 ઓમિક્રોનું સબ-વેરિયન્ટ છે, જે મજબૂત ઈમ્યૂનિટી ધરાવતા લોકોને પણ સરળતાથી સંક્રમિત કરી શકે છે. યૂએસ સેન્ટર ફૉર ડિજીજ કંટ્રોલ (CDC)એ નવા વેરિયન્ટને ઝડપી ફેલાતો હોવાનો ખુલાસો કર્યો છે.