ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવરની ઉંચાઈ મામલે અનેક વર્ષો લડત ચલાવી અને નર્મદા નદીનાં વિસ્તાપિતોને વહારે ઉભા રહી દેશ - દુનિયામાં નામનાં મેળવનાર સમાજ સુધારક અને સેવક પ્રસ્તાપિત થનાર મેધા પાટકરને પણ જેલમાં જવાનો વારો આવી ગયો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને બદનામ કરવા બદલ મેધા પાટકર સામે દિલ્હીની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો તેનો ચુકાદો આવી ગયો છે અને કોર્ટ દ્વારા મેધા પાટકરને 5 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે. દિલ્હીની સાકેત કોર્ટે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં સામાજીક કાર્યકર્તા મેધા પાટકરને આ સજા આપી છે. 5 મહિનાની જેલની સજાની સાથે સાથે કોર્ટે તેઓને 10 લાખ રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.


ઉલ્લેખનીય છે કે, મેધા પાટકર પર લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાની વિરુદ્ધ 2001માં પ્રેસ રિલીઝ જાહેર કરવાનો અને આમ જનતામાં તેમની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. મેધા પાટકર દ્વારા લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના વિરુદ્ધ પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવતા લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ દિલ્હીની સાકેત કોર્ટેમાં 2001માં મેધા પાટકર સામે અપરાધિક માનહાનિનો દાવો દાખલ કરેલો હતો. દિલ્હીની સાકેત કોર્ટેનાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાઘવ શર્માએ પાટકરને બદનક્ષીનાં દોષી ઠેરવ્યા અને તેમને સક્સેનાની પ્રતિષ્ઠાને થયેલા નુકસાન માટે વળતર તરીકે રૂ. 10 લાખ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, કોર્ટે મેધા પાટકર દ્વારા પોતાની વય એટલે કે ઉંમર ટાંકીને કરવામાં આવેલી દલીલને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે આ કેસ 25 વર્ષ સુધી ચાલ્યો છે. જો કે, કોર્ટે ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ 389(3) હેઠળ 1 ઓગસ્ટ સુધી તેની સજાને સ્થગિત કરી દીધી હતી, જેથી કરીને તે આદેશ સામે અપીલ કરી શકે. જો કે પાટકર પાસે ઉપરની કોર્ટમાં જવાનો રસ્તો હજુ ખુલો છે. 


ગુજરાત સરકાર અને ગુજરાતનાં નર્મદા ડેમનાં નિર્મણ સમયે મેધા પાટકર લાઇમ લાઇટમાં આવેલા કારણ કે, મેધા પાટકર દ્વારા નર્મદા ડેમની હાલની જે ઉંચાઈ છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. મેધા દ્વારા વિરોધનું કારણ હતું, બંધની ઉંચાઈ વધારવામાં આવે તો મધ્યપ્રદેશ અને ગુજરાત સહિતનાં નર્મદા નદીનાં કાંઠા પર રહેતા કે ખેતી કરતા લોકોને વ્યાપક અસર થાય અને વિસ્થાપિત થઈ જાય. મેધા પાટકર દ્વારા જે તે સમયનાં વિસ્થાપિત લોકો માટે સરકાર પાસેથી યોગ્ય કરી આપવા ઠેરઠેર વિરોધ પ્રદર્શનો સહિતનાં ક્રાર્યક્રમો અને પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા.