મુંબઈ: જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં રવિવારે સાજે વિદ્યાર્થીઓ પર થયેલા હુમલામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પર ઘાયલ થયા હતા. જેએનયૂમાં થયેલા હુમલાની દેશભરમાં નિંદા કરવામાં આવી રહી છે. હવે આ હુમલા મામલે બોલીવૂડ અભિનેતા અનિલ કપૂર પોતાની પ્રતિક્રિયા આપી છે. અનિલ કપૂરે આ હુમલાની નિંદા કરતા દોષિતોને સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


અનિલ કપૂરને પોતાની આગામી ફિલ્મ મલંગના ટ્રેલર લોન્ચ દરમિયાન આ સંબંધમાં પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું, કોઈપણ પ્રકારની હિંસા થાય, તેની નિંદા કરવી જોઈએ. જે કંઈપણ મે જોયુ કે ખૂબ જ દુખદ અને આઘાતજનક હતું. આ વિચારીને હુ રાત્રે સુઈ ન શક્યો કે આ શુ થઈ રહ્યું છે. આ હુમલાની નિંદા થવી જોઈએ. હિંસાથી કંઈ થવાનુ નથી. જેમણે પણ આ હિંસા કરી છે, તેને સજા મળવી જોઈએ.

આ તકે ફિલ્મના હિરો આદિત્ય રોય કપૂરે પણ જેએનયૂમાં થયેલી હિંસા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, આ પ્રકારની હિંસા માટે આપણા દેશમાં કોઈ જગ્યા નથી અને આ પ્રકારના અત્યાચાર કરનારાઓને સજા મળવી જોઈએ. મલંગના ટ્રેલર લોન્ચ દરમિયાન અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર, દિશા પટણી, ફિલ્મના નિર્દેશક મોહિત સૂરી, નિર્માતા ભૂષણ કુમાર, લવ રંજન અને અંકુર ગર્ગ પણ હાજર રહ્યા હતા.