Aditya-L1 Launch: આદિત્ય-એલ1 મિશનના મિની મોડલ સાથે ઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચી હતી. ભારતનું પ્રથમ સૌર મિશન (આદિત્ય-એલ1 મિશન) 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી લોન્ચ કરવામાં આવશે.


ભારતનું પ્રથમ સૌર મિશન (આદિત્ય-એલ1 મિશન) 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. પ્રક્ષેપણની તૈયારીઓ વિશે માહિતી આપતા, ISRO ચીફ એસ સોમનાથે ગુરુવારે ચેન્નઈમાં કહ્યું હતું કે, “રોકેટ અને સેટેલાઇટ તૈયાર છે. અમે લોન્ચ માટે રિહર્સલ પૂર્ણ કર્યું છે."






એક રિપોર્ટ અનુસાર,  આદિત્ય-L1 અવકાશયાન સૌર કોરોના (સૂર્યની સૌથી બહારના સ્તરો) ના દૂરસ્થ અવલોકન માટે અને L-1 (સૂર્ય-પૃથ્વી લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનની યથાસ્થિતિના અવલોકન માટે બનાવવામાં આવ્યું છે. L-1 પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે.


ઈસરોના અધ્યક્ષ સોમનાથે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે હવે સૂર્ય મિશનના લોન્ચ માટે તૈયાર છીએ. રોકેટ-સેટેલાઇટ પણ તૈયાર છે. લોન્ચિંગનું રિહર્સલ પૂર્ણ થઈ ગયું છે. આદિત્ય-એલ1 સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યું છે. આ સિવાય રોવરના સવાલ પર સોમનાથે કહ્યું કે બધુ બરાબર ચાલી રહ્યું છે. સારી રીતે ડેટા મેળવી રહ્યા છીએ. અમને આશા છે કે અમારું મિશન 14 દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થશે.



ઈસરોના મતે સૂર્ય આપણી સૌથી નજીકનો તારો છે. તારાઓના અભ્યાસમાં તે આપણને સૌથી વધુ મદદ કરી શકે છે. આમાંથી પ્રાપ્ત માહિતી અન્ય તારાઓ, આપણી આકાશગંગા અને ખગોળશાસ્ત્રના ઘણા રહસ્યો અને નિયમોને સમજવામાં મદદ કરશે. સૂર્ય આપણી પૃથ્વીથી લગભગ 15 કરોડ કિલોમીટર દૂર છે. જો કે આદિત્ય L1 આ અંતરના માત્ર એક ટકાને જ કવર કરી રહ્યું છે, પરંતુ આટલું અંતર કાપ્યા પછી પણ તે આપણને સૂર્ય વિશે એવી ઘણી માહિતી આપશે, જે પૃથ્વી પરથી જાણવી શક્ય નથી.