Aditya-L1 Mission:  ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1 ઉપગ્રહે પૃથ્વીની ભ્રમણકક્ષા બદલવાનો બીજો તબક્કો પૂર્ણ કર્યો છે. ઈસરોએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આદિત્ય એલ-1ના પૃથ્વી ભ્રમણકક્ષા પરિવર્તનનો બીજો તબક્કો બેંગલુરુના ISTRAC સેન્ટરમાંથી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન, મોરેશિયસ, બેંગલુરુ અને પોર્ટ બ્લેર ખાતે ITRAC/ISRO ગ્રાઉન્ડ સ્ટેશનોએ ઉપગ્રહને ટ્રેક કર્યો હતો. ઈસરોએ વધુમાં જણાવ્યું કે હવે આદિત્ય એલ1ની નવી ભ્રમણકક્ષા 282 કિમી x 40225 કિમી છે. આગામી ત્રીજી ઓર્બિટ રિપ્લેસમેન્ટ કવાયત (EBN#3) 10 સપ્ટેમ્બર 2023 ના રોજ આશરે 02:30 વાગ્યે હાથ ધરવામાં આવશે.






અગાઉ 3 સપ્ટેમ્બરના રોજ, આદિત્ય L1 એ સફળતાપૂર્વક તેની ભ્રમણકક્ષા બદલી હતી અને તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું. ઈસરોએ રવિવારે સવારે લગભગ 11.45 વાગ્યે આદિત્ય એલ-1નું પ્રથમ અર્થ બાઉન્ડ ફાયરિંગ કરાયું હતું જેની મદદથી આદિત્ય એલ1એ તેની ભ્રમણકક્ષા બદલી હતી.


ઈસરોએ શનિવારે PSLV C57 લોન્ચ વ્હિકલથી આદિત્ય L1ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થયું હતું. ચંદ્રયાન-3ની જેમ આ મિશન પહેલા પૃથ્વીની આસપાસ ફરશે અને પછી તે ઝડપથી સૂર્ય તરફ ઉડાન ભરશે.


આદિત્ય પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ પસાર કરશે


ઈસરોએ કહ્યું કે આદિત્ય એલ1એ તેની ભ્રમણકક્ષા બદલી અને આગામી ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો. આદિત્ય L1 પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ પસાર કરશે. આ સમયગાળા દરમિયાન તેની ભ્રમણકક્ષાને પાંચ વખત બદલવા માટે અર્થ બાઉન્ડ ફાયરિંગ કરવામાં આવશે.


આદિત્ય 110 દિવસ પછી Lagrangian-1  પોઈન્ટ પર પહોંચશે


110 દિવસની મુસાફરી પછી આદિત્ય L1 Lagrangian-1 પોઈન્ટ પર પહોંચશે. Lagrangian-1 પોઈન્ટ પર પહોંચ્યા પછી આદિત્ય L1 માં વધુ એક મેનુવર કરવામાં આવશે. જેની મદદથી આદિત્ય L1 એ L1 પોઈન્ટની ભ્રમણકક્ષામાં સ્થાપિત થશે. અહીંથી આદિત્ય L1 સૂર્યનો અભ્યાસ કરશે. આ Lagrangian-1 સૂર્યની દિશામાં પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર છે. આદિત્ય એલ1 સાથે સાત પેલોડ મોકલવામાં આવ્યા છે, જે સૂર્યનો વિગતવાર અભ્યાસ કરશે. આમાંથી ચાર પેલોડ્સ સૂર્યપ્રકાશનો અભ્યાસ કરશે. બાકીના ત્રણ સૂર્યના પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે.