ગોવાઃ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હોવાની અસર ત્યાંના રાજકારણમાં પણ જોવા મળી રહી છે. કોંગ્રેસ સતત સીએમના રાજીનામાની માંગ કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે ગોવા કોંગ્રેસના બે ધારાસભ્યોએ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.


અમિત શાહ સાથે મુલાકાત કરવા ગોવા કોંગ્રેસના ધારાસભ્ય દયાનંદ સોપતે અને સુભાષ શિરોડકર સોમવારે રાતે જ રવાના થઈ ગયા હતા. આ સામયે તેમની સાથે ગોવાના આરોગ્ય મંત્રી વિશ્વજીત રાણે પણ હાજર હતા.

આ બંને ધારાસભ્યો આજે સાંજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ જશે. તેમનું કહેવું છે કે  અન્ય 2થી 3 ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે.

ગોવા વિધાનસભાના સ્પીકર પ્રમોદ સાવંતે કહ્યું કે, “મને કોંગ્રેસના બે ધારાસભ્યો દયાનંદ સોપતે અને સુભાષ શિરોડકરના રાજીનામા મળ્યા છે. તેમણે કોઈના દબાણમાં આવ્યા વગર રાજીનામું આપ્યું હોવાનું સ્વીકાર્યું છે. પ્રકિયા પૂરી થયા બાદ કોપી ગૃહમાં મોકલી આપવામાં આવશે.”