મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ટ્રેન અને હવાઈ સેવાને અસર થઈ હતી. મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન પર ટ્રેક પર પાણી ભરાયા હતા. રેલવે ટ્રેક પર પાણી ભરાતા અમદાવાદ- મુંબઈ રેલ વ્યવહારને અસર થઈ હતી. બે કલાકથી વાપીથી મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. અનેક ટ્રેન નિર્ધારીત સમયથી મોડી દોડી રહી છે. ટ્રેક પરથી પાણી ઓસર્યા બાદ રેલ વ્યવહાર ફરીથી ચાલુ થશે. ટ્રેન વ્યવહાર ખોરવાતા અનેક મુસાફરો રઝળ્યા હતા. વાપી રેલવે સ્ટેશન પર યોગ્ય વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો. 

Continues below advertisement

મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે મુંબઈ અને ગુજરાતને જોડતા રેલવે તેમજ હવાઈ વ્યવહાર પર ખૂબ જ માઠી અસર પડી છે. મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. વાપીથી મુંબઈ વચ્ચે છેલ્લા બે કલાકથી ટ્રેનો અટવાઈ પડી છે અને અનેક ટ્રેનો પોતાના નિર્ધારીત સમય કરતાં કલાકો મોડી દોડી રહી છે. 

Continues below advertisement

વલસાડ રેલવે સ્ટેશન પર હેલ્પલાઈન પણ શરૂ 

રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ જતાં પશ્ચિમ રેલવે દ્વારા તકેદારીના ભાગરૂપે અનેક ટ્રેનોને વલસાડ, વાપી અને નવસારી સ્ટેશનથી જ પરત (શોર્ટ ટર્મિનેટ) મોકલી દેવામાં આવી છે. રેલવે મુસાફરોની વહારે આવતા વલસાડ એસ.ટી. ડિવિઝન દ્વારા તાત્કાલિક મુંબઈ જવા માટે વિશેષ બસો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ફસાયેલા મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. આ સાથે જ મુસાફરોની પૂછપરછ અને સહાય માટે વલસાડ રેલવે સ્ટેશન પર હેલ્પલાઈન પણ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ, દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ભૂસ્ખલનની ઘટનાઓને કારણે રેલવે તંત્ર દ્વારા અનેક લાંબા અંતરની ટ્રેનોના રૂટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ-ચેન્નઈ ટ્રેનને હવે સુરત-જલગાંવ-મનમાડ-દૌંડ થઈને દોડાવવામાં આવશે. જ્યારે પૂણે-ભુજ ટ્રેન હવે દૌંડ-મનમાડ-જલગાંવ-સુરત થઈને દોડશે અને પૂણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસને દૌંડ-મનમાડ-જલગાંવ-કલ્યાણ થઈને ડાયવર્ટ કરવામાં આવી છે. રેલવે વિભાગે તમામ યાત્રિકોને મુસાફરીએ નીકળતા પહેલા પોતાની ટ્રેનનું વર્તમાન સ્ટેટસ ચેક કરી લેવા ખાસ અપીલ કરી છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના પાલઘરમાં આભ ફાટ્યું, ફક્ત 2 કલાકમાં 12 ઈંચ વરસાદ

વરસાદના કારણે હવાઈ સેવાને પણ અસર

માત્ર રેલવે જ નહીં પરંતુ મુંબઈમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે હવાઈ સેવાને પણ અસર થઈ છે. ખરાબ વિઝિબિલિટી અને ભારે વરસાદને લીધે મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ ન કરી શકેલી 13 જેટલી ફ્લાઈટ તાત્કાલિક સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. આ સિવાય મુંબઈ એરપોર્ટથી ઓપરેટ થતી ઈન્ડિગોની દિલ્હી અને ઈન્દોર સહિતની ચાર મોટી ફ્લાઈટોને રદ કરવાની ફરજ પડી છે, જ્યારે અન્ય અનેક ફ્લાઈટો મોડી પડી છે. હવામાનની આ ગંભીર સ્થિતિને જોતા એર ઈન્ડિયા કંપનીએ મુસાફરો માટે વિશેષ એડવાઈઝરી જાહેર કરી છે. એરલાઇન્સે જણાવ્યું છે કે મુંબઈ અને દિલ્હીમાં પ્રતિકૂળ હવામાનના કારણે આગામી સમયમાં પણ હવાઈ સેવાઓ પ્રભાવિત થઈ શકે તેમ હોવાથી તમામ યાત્રિકોએ ઘર કે ઓફિસથી એરપોર્ટ જવા રવાના થતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ઓનલાઈન ચોક્કસથી ચકાસી લેવું જેથી એરપોર્ટ પર હેરાનગતિથી બચી શકાય.