નવી દિલ્હીઃ કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટ માસમાં આવશે એવી આગાહી વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ચેતવણી આપી છે કે, રાજ્ય સરકારે

  સાવધાનીપૂર્વક છૂટછાટો આપવી તથા કોઈ પણ પ્રવૃત્તિને બધાં પાસાંનો વિતાર કર્યા પછી જ પ્રોત્સાહન આપવું જોઈએ. મોદી સરકારનું સાવચેતીભર્યું વલણ જોતાં આ વખતે મોટા ભાગનાં રાજ્યો કોરોનાની ત્રીજી લહેર પહેલા જ લોકડાઉન સહિતનાં પગલાં લેશે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે આગોતરાં પગલાંરૂપે દેશવ્યાપી લોકડાઉન લદાય તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. સત્તાવાર રીતે આ વાતોને સમર્થન નથી અપાયું.


કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યોને ખૂબ જ મહત્વપૂર્ણ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની 5 સ્તરીય રણનીતિ સુનિશ્ચિત કરવા પણ વિનંતી કરવામાં આવી છે. આ સાથે જ સંક્રમણ રોકવા માટે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ અને વેક્સિનેશનને મહત્વ આપવા કહેવામાં આવ્યું છે. 


એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી હતી કે. આગામી 6થી 8 સપ્તાહમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આ ચેતવણી બાદ કેન્દ્ર તરફથી આ નિર્દેશ આપવામાં આવ્યા હતા. ગુલેરિયાએ શનિવારે કહ્યું હતું કે, આગામી 6 સપ્તાહથી 8 સપ્તાહમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. 



રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, કોરોના સાથે સંકળાયેલી ગાઈડલાઈન ફોલો નહીં કરવામાં આવે તો 6થી 8 સપ્તાહમાં ત્રીજી લહેર આવી શકે છે. વેક્સિનેશન થઈ જાય ત્યાં સુધી આપણે આક્રમક સ્વરૂપે આપણી લડાઈ ચાલુ રાખીએ તે જરૂરી છે. જો લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી જરૂરી ગાઈડલાઈન ફોલો નહીં કરે તો મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કોરોનાના કેસ વધે તો સર્વેલન્સ અને જે ક્ષેત્રમાં કેસ વધતા હોય તે શોધીને ત્યાં લોકડાઉન લાગુ કરવાની જરૂર પણ પડી શકે છે.'


કોરોનાની બીજી લહેરે દેશમાં ભારે તબાહી મચાવી હતી તેથી કોરોનાને નિયંત્રણમાં લેવા મોટા ભાગનાં રાજ્યોએ લોકડાઉન લાગુ કરેલું. લોકડાઉનની અસર જોવા મળી અને થોડા દિવસોમાં જ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટવા લાગી. આ સફળતાને ધ્યાનમાં રાખીને ત્રીજી લહેર આવે તે પહેલાં લોકડાઉન લદાઈ શકે છે.