નવી દિલ્હીઃ ભારત બાયોટેકે ICMR સાથે મળીને કોરોના વેક્સીન COVAXIN તૈયાર કરી છે. આ દવાના ક્લીનિકલ ટ્રાયલ માટે 12 સંસ્થાની પસંદગી કરવામાં આવી છે. જેમાં દિલ્હી અને પટનાની એઇમ્સ પણ સામેલ છે. આ દરમિયાન એઇમ્સની એક્સપર્ટ ટીમે પ્રોટોકોલમાં બદલાવ કરવાની વાત કહી છે.


એઇમ્સના એક્સપર્ટના કહેવા મુજબ, આઈસીએમઆર પ્રોટોકોલ ફાસ્ટ ટ્રેક પરીક્ષણ કરવા ઈચ્છે છે પરંતુ આ માટે સેમ્પલ ટાર્ગેટ વધારે હશે તો સચોટ પરિણામ આવશે. તેમણે કહ્યું, એઇમ્સ અને બાકી સંસ્થાની નજરમાં અંતર એ છે કે અમે રિસર્ચને વધારે સચોટ બનાવવા માંગીએ છીએ, આ માટે  સાવચેતી સાથે પૂર્વ આયોજન પ્રથમ શરત છે.

હાલ પ્રોટોકોલ મુજબ, પ્રથમ તબક્કામાં 18 થી 25 વર્ષના સ્વસ્થ લોકો અને બીજા તબક્કામાં 12 થી 65 વર્ષના લોકો પર વેક્સીનનું પરીક્ષણ કરાશે.

ICMRએ ક્લીનિક્લ ટ્રાયલ પૂરું થયા બાદ 15 ઓગસ્ટ સુધી કોવિડ-19 સ્વદેશી વેક્સીન લોન્ચ કરવાની યોજના બનાવી છે. આ માટે દેશભરમાં 12 સંસ્થાઓની પસંદગી કરાઈ છે અને 7 જુલાઈ સુધીમાં ટ્રાયલ શરૂ કરવા કહ્યું છે.

વેક્સીન પરીક્ષણમાં સામેલ સંસ્થાઓના લિસ્ટમાં ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(એનઆઈએમએસ) હૈદરાબાદ, કિંગ જોર્જ હોસ્પિટલ (વિશાખાપટ્ટનમ), યૂનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ (રોહતક), એઈમ્સ નવી દિલ્હી અને પટના સામેલ છે.