નવી દિલ્હીઃ ત્રિચીથી દુબઇ જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ રન વેથી ટેકઓફ કર્યા બાદ એરપોર્ટ કમ્પાઉડની દિવાલ સાથે ટકરાઇ ગઇ હતી. આ વિમાનમાં  136 લોકો સવાર હતા. ટેક ઓફ કરતા સમયે વિમાનનું ટેક ઓફ વ્હીલ દિવાલ સાથે અથડાયા હતા. ત્યારપછી આ ફ્લાઈટને મુંબઈમાં સુરક્ષિત લેન્ડ કરવામાં આવી છે.


વિમાનના મુંબઇમાં ઉતાર્યા બાદ એરપોર્ટના અધિકારીઓએ ઘટનાની સમીક્ષા કરી હતી. વિમાન સાથે થયેલી આ દુર્ઘટના બાદ તેનો રૂટ બદલીને તેને મુંબઇમાં લેન્ડ કરાવવામાં આવી હતી જેથી વિમાનની તપાસ કરાવવામાં આવી શકે. આ ટક્કર સાથે વિમાનના નીચેના ભાગમાં નુકસાન પહોંચ્યું છે.

જાણકારોના મતે ટેકઓફ કરતા સમયે એર ઇન્ડિયાનું  વિમાન રનવે અને એર ટ્રાફિક લેવલની દિવાલ સાથે ટકરાયુ હતું. ઘટના બાદ તમિલનાડુના પર્યટન મંત્રી વેલામાંડી એન એનટરાજન ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.  તેમણે કહ્યું કે, દુબઇ જઇ રહેલી આ ફ્લાઇટના ટેક ઓફ વ્હીલ દિવાસ સાથે ટકરાયુ હતું. વિમાનમાં સવાર લોકોને સુરક્ષિત મુંબઇ પહોંચાડી દેવામાં આવ્યા છે.