મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપે અજીત પવાર સાથે મળીને સરકાર બનાવી લીધી છે. દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે અજીત પવારે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ત્યારે હવે એનસીપી સુપ્રીમો શરદ પવારનું નિવેદન સામે આવ્યું છે.

શરદ પવારે કહ્યું આ નિર્ણયને એનસીપીનુ સમર્થન નથી. મારી જાણકારી બહાર આ શપથગ્રહણ થયો છે. શરદ પવારના આ નિવેદન બાદ નક્કી છે કે અજીત પવાર બાગી થયા છે અને એનસીપી તૂટી ગઈ છે.

શરદ પવારે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપને સમર્થન આપવાનો નિર્ણય અજિત પવારનો અંગત નિર્ણય છે. એ એનસીપીનો નિર્ણય નથી. અમે એ વાત રેકોર્ડ પર કહેવા માંગીએ છીએ કે આ નિર્ણયને સમર્થન આપતા નથી.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના 24 ઓક્ટોબરે પરિણામ આવ્યા હતા. અઢી-અઢી વર્ષની મુખ્યમંત્રી ફોર્મ્યૂલાની વાત પર બીજેપી શિવસેનાના ગઠબંધનમાં તિરાડ પડી હતી. ત્યારપછી ઘણી બેઠકોની વાતચીત પછી શિવસેના-એનસીપી અને કોંગ્રેસમાં સરકાર બનાવવા માટે સહમતી બનતી દેખાઈ હતી. શુક્રવારે રાતે એનસીપી એનસીપી અધ્યક્ષ શરદ પવારે સ્પષ્ટ કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ પર સહમતી બની ગઈ છે.