નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરુવારે CAA-NRC અને કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાન, સાઉદી અરેબિયા કરારની રિપોર્ટ્સ અને ભારત-જાપાન સમિટ સહિત અનેક મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કાશ્મીર મામલો ઇસ્લામિક સહયોગ સંગઠનમાં ઉઠાવવાના રિપોર્ટ્સને  પુરી રીતે અંદાજ આધારિત ગણાવ્યો હતો. સાથે તેમણે નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીના મુદ્દા પર દુનિયાના વિવિધ દેશોને ભારતીય પક્ષ અંગેની જાણકારી આપી હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, ભારતની જાપાન સાથે સમિટની તારીખ નક્કી કરવા માટે સતત વાતચીત ચાલી રહી છે અને તેમને આશા છે કે તે જલદી સમિટની તારીખ પર નિર્ણય કરી લેશે.


વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ CAA-NRCના મુદ્દા પર કહ્યું કે અમે દુનિયાના તમામ ભૌગોલિક હિસ્સાના દેશો સુધી પહોંચ્યા છીએ. અમે નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી અંગે પોતાના દૂતાવાસોને લખ્યું છે અને તેમના યજમાન દેશોને આ થનારી પ્રક્રિયા અંગે અમારા વિચારો જણાવ્યા છે.

તેમણે કહ્યું કે, કાયદો બંધારણના આધારભૂત ઢાંચા સાથે કોઇ છેડછાડ કરશે નહીં. દેશોને એમ પણ કહેવામાં આવ્યું છે કે સીએએ કોઇ સમુદાયના લોકો માટે ભારતમાં નાગરિકતા મેળવવાનો અવસર ઓછા કરશે નહી ના કોઇની નાગરિકતા છીનવવામાં આવશે.