MP ભાજપ મંત્રીનું વિવાદિત નિવેદન, કહ્યું- મદરેસાઓમાંથી આતંકવાદીઓ નીકળે છે, સરકારી મદદ બંધ થવી જોઈએ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Oct 2020 08:26 AM (IST)
હાલમાં જ આસામ સરકારે સરકારી ખર્ચે ચાલતી મદરેસાઓ અને સંસ્કૃત શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ભોપાલઃ મધ્ય પ્રદેશ સરકારમાં પર્યટન અને સંસ્કૃતિ વિભાગના મંત્રી ઉષા ઠાકુરે મદરેસાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. ઉષા ઠાકુરે માગ કરી છે કે મદરેસાઓને આપવામાં આવતી સરકારી ગ્રાન્ટને બંધ કરવી જોઈએ, કારણ કે બધા આતંકવાદી મદરેસાઓમાંથી નીકળે છે. ઉષા ઠાકુરે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, કમલનાથ સરકાર મંદિરોમાં જજિયા દેવું જેવા ટેક્સ વસુલતી હતી. ઇન્દોરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ઉષા ઠાકુરે કહ્યું કે, ‘મદરેસાઓને સરકારી સહાય બંધ થવી જોઈએ, વફ્ક બોર્ડ પોતાની રીતે એક સક્ષમ સંસ્થા છે. જો કોઈ વ્યક્તિગત રીતે કોઈ મદદ કરવા માગે છે તો આપણું બંધારણ તેની મંજૂરી આપી ચે, પરંતુ આપણા પસીનાની કમાણીને આ રીતે બરબાદ ન થવા દેવી જોઈએ. અમે એ રૂપિયાનો ઉપયોગ વિકાસના કામોમાં કરીશું.’ નોંધનીય છે કે, હાલમાં જ આસામ સરકારે સરકારી ખર્ચે ચાલતી મદરેસાઓ અને સંસ્કૃત શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આસામ સરકારે કહ્યું કે ધાર્મિક શિક્ષણ માટે સરકારી મદદ આપી શકાય નહીં. જો કે આસામ સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે ખાનગી મદરેસાઓ તેઓ બંધ કરતા નથી. સરકારી મદરેસાઓને વધુ સારા શિક્ષણ હેતુસર રેગ્યુલર શાળાઓમાં ફેરવવામાં આવશે.