નવી દિલ્હીઃ ઇલાહાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશની યોગી સરકારને મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે ઓબીસીની 17 જાતિઓને એસસીમાં સામેલ કરવાના યોગી સરકારના નિર્ણય પર રોક લગાવી છે. કોર્ટના પ્રમુખ સચિવ સમાજ કલ્યાણ મનોજ કુમાર સિંહનું વ્યક્તિગત સોગંદનામું માંગ્યું છે. જસ્ટિસ સુધીર અગ્રવાલ અને જસ્ટિસ રાજીવ મિશ્રની ડિવીઝન બેન્ચના મામલાની સુનાવણી કરતા આ આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે, આ પ્રકારનો નિર્ણય લેવાનો અધિકાર સરકારને નથી.


હાઇકોર્ટે યોગી સરકારને કહ્યું કે, પ્રદેશ સરકારને આ પ્રકારનો નિર્ણય લેવાનો અધિકાર નથી. ફક્ત સંસદ જ એસટી એસસી જાતિઓમાં ફેરફાર કરવાનો અધિકાર છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારને 24 જૂનના રોજ શાસનાદેશ જાહેર કર્યો હતો. યોગી સરકારે 17 પછાત જાતિઓને અનુસુચિત જાતિઓની યાદીમાં સામેલ કરવામાં આવી હતી. આ જાતિઓને અનુસૂચિત જાતિઓની લિસ્ટમાં સામેલ કરવા પાછળ યોગી સરકારે કહ્યુ હતું કે, જાતિઓ સામાજિક અને આર્થિક રીતે વધુ પછાત છે.

યોગી સરકારે આ 17 પછાત જાતિઓને અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર આપવાનો નિર્ણય કર્યો હતો. આ માટે જિલ્લા અધિકારીઓને આ 17 જાતિઓના પરિવારોને જાતિ પ્રમાણ પત્ર આપવાનો આદેશ કર્યો હતો. આ જાતિઓમાં નિષાદ, બિંદ, મલ્લાહ, કેવટ, કશ્યપ, ભર, ધીવર, બાથમ, મછુઆરા, પ્રજાપતિ, રાજભર, કહાર, કુમ્હાર, ધીમર, માંઝી, તુરહા, ગૌડ વગેરેનો સમાવેશ થાય છે. આ જાતિઓને હવે એસસી કેટેગરીમાં નાખવામાં આવ્યા હતા. આ જાતિઓને પરિવારોને જાતિ પ્રમાણપત્ર જાહેર કરવાનો આદેશ આપ્યો હતો જેના પર હાઇકોર્ટે રોક લગાવી દીધી છે.