નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંહનું  64 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા, તેમની સિંગાપુરમાં સારવાર ચાલી રહી હતી ત્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા.  છેલ્લા દોઢ મહિનાથી ICUમાં હતા. કેટલાક દિવસ પહેલા જ તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, શનિવારે બોપરે તેમનું નિધન થઈ ગયું છે.


અમરસિંહ 64 વર્ષના હતા. 6 જાન્યુઆરી 2010ના રોજ તેઓએ સમાજવાદી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. સમાજવાદી પાર્ટીથી અલગ થયા બાદ તેઓ વડાપ્રધાન મોદી અને ભાજપનું સમર્થન કરવા લાગ્યા હતા. અમરસિંહ ગુજરાત સાથે પણ નિકટનો નાતો ધરાવતા હતા. તેઓ ભાવનગર નજીક દરેડના રાજવી પરિવારના જમાઈ હતા.

અમરસિંહે 5 જુલાઈ 2016ના રોજ રાજ્યસભાનું સભ્યપદ લીધું હતું. તેઓ લાંબા સમય સુધી સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા રહ્યાં અને પાર્ટીના મહાસચિવ પણ બન્યા હતા. તેમને મુલાયમસિંહ યાદવના ખૂબજ નજીકના માનવામાં આવતા હતા. જો કે, 2010માં સમાજવાદી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનો જન્મ આજમગઢના રાજપૂત પરિવારમાં થયો હતો.

આજે તેમણે બકરી ઈદની શુભેચ્છા આપતા ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, ‘ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છા. આવો આ દિવસને પ્રેમ અને ખુશી ફેલાવીને ઉજવીએ.’

સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમરસિંહના નિધન પર દુખ વ્યક્ત કરું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, વરિષ્ઠ નેતા તથા સાંસદ શ્રી અમરસિંહના નિધનના સમાચારથી દુ:ખ થયું. જાહેર જીવનમાં તેમની તમામ દળો સાથે મિત્રતા હતી. સ્વભાવથી વિનોદી અને હંમેશા ઉર્જાવાન રહેનારા અમરસિંહજીને ભગવાન પોતાની શ્રીચરણોમાં સ્થાન આપે.