નવી દિલ્હી: આજથી દેશભરમાં અનલોક-3 લાગૂ થયું છે. અનલોક-3 ની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3ની ગાઇડલાઇન મુજબ દેશભરમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયો છે.


જિમ 5મી ઓગસ્ટથી ખૂલશે. જિમ અને યોગા સંસ્થાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમો કરી શકાશે. મેટ્રો, થિયેટર, સ્વિમિંગ પૂલ્સ, પાર્ક હાલ બંધ રહેશે. બાર, ઓડિટોરિયમ્સ, એસેમ્બલી હોલ બંધ રહેશે. સામાજિક મેળવડા,રાજકીય કાર્યક્રમો, રમત-ગમત, એન્ટરટેઈનમેન્ટ કાર્યક્રમો બંધ રહેશે. આ ઉપરાંત શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો તથા જનમેદની ભેગી થાય તેવા કાર્યક્રમો બંધ રહેશે.

ગુજરાતમાં પણ 1 ઓગસ્ટથી રાત્રી ક્રફ્યુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

આ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાની ગાઇડ લાઇનને લઇને ચિમકી ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની ગાઈડ લાઇન પાલન કરવાની છે. જો નિયમ ભંગ થશે તો લાઇસન્સ રદ કરવા સુધીના પગલાંઓ લેવાશે. માસ્ક વગરનાં ગ્રાહકોને દુકાનોમાં પ્રવેશ ન આપવામાં આવે. તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરવાનું રહેશે.