Ambedkar Jayanti 2025 holiday: ભારત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બંધારણના નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આગામી ૧૪ એપ્રિલ ૨૦૨૫ના રોજ દેશભરમાં જાહેર રજા રહેશે. આ અંગેનો સત્તાવાર આદેશ ૨૭ માર્ચ ૨૦૨૫ના રોજ ભારત સરકારના કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
આ રજા દરમિયાન દેશભરની તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ અને ઔદ્યોગિક સંસ્થાઓ બંધ રહેશે. આ ઉપરાંત, શાળાઓ અને કોલેજોમાં પણ રજા રહેશે, જેથી લોકો બાબાસાહેબના જીવન અને તેમના સામાજિક સુધારાઓને યાદ કરી શકે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ શકે.
ડૉ. બી. આર. આંબેડકર, જેમને પ્રેમથી બાબાસાહેબ કહેવામાં આવે છે, તેમણે ભારતના બંધારણને ઘડવામાં અને સમાજમાં સમાનતા લાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમની જન્મજયંતિ ૧૪ એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે અને આ દિવસ તેમના યોગદાનને યાદ કરવા અને તેમના વિચારોને આત્મસાત કરવાનો અવસર છે. આ વર્ષે ૧૪ એપ્રિલના રોજ સોમવાર છે અને આ રજા સમગ્ર દેશમાં લાગુ થશે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મેમોરેન્ડમમાં આ નિર્ણય તમામ મંત્રાલયો અને વિભાગોને જણાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં UPSC, CVC, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ/જનજાતિ આયોગ, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને કેન્દ્રીય માહિતી આયોગ જેવી મહત્વપૂર્ણ સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તમામ સંલગ્ન અને ગૌણ કચેરીઓ અને સ્વાયત્ત સંસ્થાઓને પણ આ રજાનું પાલન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ રજાની જાહેરાતને વ્યાપકપણે લોકો સુધી પહોંચાડવા માટે PIB અને DoPTની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ જાહેર રજા માત્ર એક દિવસનો વિરામ નથી, પરંતુ સમાજમાં જાગૃતિ, સમાનતા અને એકતાને પ્રોત્સાહન આપવાનો એક અવસર છે. મોદી સરકારનું આ પગલું ડૉ. આંબેડકર પ્રત્યેનો ઊંડો આદર અને તેમના વિચારોને લોકો સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.