નવી દિલ્હીઃ પહેલેથી ચાલી રહેલ મંદી અને આર્થિ સંકટની વચ્ચે કોરોના સંકટે સમગ્ર અર્થવ્યવસ્થાની કમર ભાંગી નાખી છે. ભારત પણ તેમાંથી બાકાત નથી રહ્યું. મોટા પાયે લોકોની સામે રોજગારીનું જોખમ છે અને સરકારની સામે અર્થવ્યવસ્થાને પાટે લાવવાની છે.


એવામાં પૂર્વ પીએમ અને જાણીતા અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહે અર્થવ્યવસ્થામાં સુધારા માટે સરકારને ત્રણ મહત્ત્વપૂર્ણ ટિપ્સ આપી છે. તેની સાથે જ તેમણે કહ્યું છે કે, આ સ્થિતિમાંથી બહાર આવવા માટે મોટા નિર્ણય લેવા પડશે.

બીબીસી સાથે વાત કરતાં પૂર્વ પ્રધાનમંત્રીએ સરકારે પ્રથમ ટિપ આપતા કહ્યું કે, લોકોની આજીવિકા સુરક્ષિત કરવી જોઈએ. તેમણે કહ્યું કે, સરકારે પ્રયત્ન કરવો જોઈએ કે લોકોની નોકરીઓ ન જાય. તેની સાથે જ તેમણે આર્થિક મદદ આપીને તેમના ખર્ચ કરવાની ક્ષમતા જાળવી રાખવી જોઈએ.

પૂર્વ પ્રધાનમંત્રીએ સરકારને બીજુ સૂચન કરતાં કહ્યું કે, સરકારે સરકારી ક્રેડિટ ગેરેન્ટી કાર્યક્રમો દ્વારા વેપાર અને ઉદ્યોગોને પૂરતી મુડી ઉપલબ્ધ કરાવવી જોઈએ.

ત્રીજા સૂચનમાં ડો. સિંહે કહ્યું કે, સરકારે નાણાંકીય સેક્ટરમાં સંસ્થાગત સ્વાયતત્તા અને પ્રક્રિયાઓ દ્વારા સુધારા કરવા જોઈએ.