Amit Shah Visit Chandigarh: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે (4 ઓગસ્ટ 2024) ચંદીગઢની મુલાકાત દરમિયાન મણિમાજરા પાણી પુરવઠા પ્રૉજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન ત્યાં લોકોને સંબોધિત કરતા તેમણે દાવો કર્યો કે 2029માં પણ એનડીએની સરકાર બનવા જઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે NDA સરકાર માત્ર પોતાનો કાર્યકાળ પૂરો કરશે જ નહીં, પરંતુ આગામી કાર્યકાળ પણ આ સરકારનો જ હશે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું.


અમિત શાહનું કોંગ્રેસ પર નિશાન 
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભાજપે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ત્રણ ચૂંટણીમાં જે બેઠકો મળી તેના કરતા વધુ સીટો જીતી હતી. વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું, "ઇન્ડિયા ગઠબંધન અસ્થિરતા પેદા કરવા માંગે છે, તેઓએ વિપક્ષમાં કેવી રીતે કામ કરવું તે શીખવું પડશે. આ લોકો વારંવાર કહે છે કે આ સરકાર ચાલશે નહીં. હું તેમને ખાતરી આપવા આવ્યો છું. આ સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ આગામી ચૂંટણીમાં ફરી સરકાર બનાવશે.


જ્યારથી કેન્દ્રમાં એનડીએની સરકાર બની છે ત્યારથી કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો કહી રહ્યા છે કે આ સરકાર લાંબો સમય નહીં ચાલે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ખૂબ જ નાજુક છે. હાલમાં જ જ્યારે બજેટ રજૂ થયું ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ બજેટ સરકારને બચાવવા માટેનું છે.






કેન્દ્રના કામોને ગણાવ્યા 
પાણી પુરવઠા પ્રોજેક્ટ ન્યાય સેતુનું ઉદ્ઘાટન અને સ્માર્ટ સિટી મિશનની શરૂઆત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી સ્માર્ટ સિટી પર ફોકસ કરવામાં આવ્યું છે અને ચંદીગઢ આ યાદીમાં પ્રથમ સ્થાને છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ પર અત્યાર સુધીમાં 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.