નવી દિલ્હી: કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો સામે સરકાર ઝૂકી છે અને ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને અપીલ કરતા કહ્યું કે, રસ્તા પર આંદોલન કરવાની જગ્યાએ ખેડૂત નક્કી કરેલી જગ્યા પર આંદોલન કરે. તેમણે કહ્યું કે, ખેડૂતો જો રસ્તો છોડીને મેદાનના શિફ્ટ થાય જાય તો 3 ડિસેમ્બર પહેલા પણ ચર્ચા કરવા તૈયાર છે.


અમિત શાહે કહ્યું કે, હું અપીલ કરું છું કે, દિલ્હી પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલા સ્થળે પોતાનું આંદોલન ચાલુ રાખે. તેમાં ખેડૂતોની પણ સુવિધા વધુ રહેશે. આપ લોકો નિશ્ચિત કરેલા સ્થળે પ્રદર્શન લોકતાંત્રિક રીતે કરશો તો તેમાં ખેડૂતોને પણ મુશ્કેલી ઓછી થશે અને અવરજવર કરનારી જનતાને પણ પરેશાનીનો સામનો નહીં કરવો પડે.

કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી મળી ગઈ છે. ખેડૂતોને દિલ્હીની બુરાડીમાં સ્થિત નિરંકાડી ગ્રાઉન્ડમાં પ્રદર્શન કરવાની મંજૂરી મળી ગઈ છે. પરંતુ ખેડૂતોનું એક જૂથ સિંધુ અને ટિકરી બોર્ડર પર ડેરો નાખીને બેઠું છે. ટિકરી બોર્ડર પર ખેડૂતોની મૂવમેન્ટ પર નજર રાખવા માટે પ્રશાસન ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. ખેડૂતો હજુ પણ ટિકરી બોર્ડર દ્વારા દિલ્હીમાં એન્ટ્રી કરી રહ્યા છે.