'વારિસ પંજાબ દે'ના ચીફ અમૃતપાલ સિંહને ફરાર થયાને 9 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન વધુ એક ઘટના સામે આવી છે. અમૃતપાલ સિંહની ધરપકડનો પ્લાન લિક કરી દેવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આ ઉપરાંત અમૃતપાલ સિંહ તેના સાગરીતો સાથે વાતચીત કરવા ખાસ કોડવર્ડનો ઉપયોગ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.


જણાવવામાં આવી રહ્યું છે કે 18 માર્ચે જ્યારે પોલીસ દળોએ અમૃતપાલને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું ત્યારે અમૃતપાલના પાંચ એસયુવીના કાફલાએ અચાનક હરિકે પુલથી ગોઇંદવાલ તરફનો રસ્તો બદલી નાખ્યો હતો. જ્યારે પુલની બીજી તરફ તૈનાત પોલીસ અધિકારીઓ સાદા યુનિફોર્મમાં હતા અને ખાનગી વાહનોમાં તેમની રાહ જોઈ રહ્યા હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પંજાબ પોલીસ દળમાંથી કોઈએ કથિત રીતે ખાલિસ્તાન સમર્થક કાર્યકર્તા અને તેની ટીમને માહિતી લીક કરી હશે. નહીંતર અમૃતપાલ એ જ દિવસે પોલીસના હાથે ઝડપાઈ ગયો હોત.


'ધ ટ્રિબ્યુન'માં એક અહેવાલ જણાવે છે કે, જ્યારે પોલીસ અમૃતપાલ અને પાપલપ્રીતની બ્રેઝા કારનો પીછો કરી રહી હતી ત્યારે કાફલામાં તેના કાકા હરજીત સિંહે કથિત રીતે ચલાવેલી મર્સિડીઝ ગુરુદ્વારા બુલંદપુરી તરફ વળે છે. આ ગુરુદ્વારાથી માત્ર 200 મીટર દૂર 20 માર્ચની રાત્રે લગભગ 1 વાગ્યે હરજીતે મીડિયાની સામે આત્મસમર્પણ કર્યું હતું.


અમૃતપાલે પાપલપ્રીત સાથે મળીને આ ગુરુદ્વારા પાસે પોતાની મોટરસાઇકલનું ટાયર પંચર કરાવ્યું હતું. જ્યારે અર્ધલશ્કરી દળ અને પોલીસે વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બંનેને લિફ્ટ આપનાર કારનો ડ્રાઈવર આ ગુરુદ્વારાની સામે આવેલા ઉધોવાલ ગામનો રહેવાસી હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધી કોઈ વરિષ્ઠ અધિકારી આ મામલે કોઈ નક્કર જવાબ આપી શક્યા નથી. પોલીસે એક દિવસ પણ હરજીતની પૂછપરછ કેમ ન કરી તે અંગે અટકળો ચાલી રહી છે. જ્યારે તે આ કેસમાં સૌથી મહત્વની કડી હતો. 20 માર્ચે સવારે 1 વાગ્યે અમૃતસર પોલીસે તેની ધરપકડ કરી હતી અને પાંચ કલાકની અંદર તેને ડિબ્રુગઢ લઈ જવામાં આવ્યો હતો.


'અમૃતપાલે વિચિત્ર કોડ વર્ડ બનાવ્યો હતો'


અમૃતપાલ પોતે માત્ર કોડ વર્ડ્સ દ્વારા જ વાતચીત કરતો ન હતો, પરંતુ તે તેના સાથીદારોને મોબાઈલ પર કોડ વર્ડ્સમાં વાત કરવાની ટ્રેનિંગ પણ આપતો હતો. અહેવાલ અનુસાર, અમૃતપાલનું માનવું હતું કે, જો કોઈ તપાસ એજન્સી કોડ વર્ડમાં વાત કરતી વખતે તેનો ફોન ટ્રેક છે, તો તેઓ તેના શબ્દોનો અર્થ સમજી શકશે નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે, કુરુક્ષેત્રના શાહબાદમાં એક રાત રોકાયા બાદ અમૃતપાલે બલજીત કૌરને કોડ વર્ડ પણ આપ્યો હતો. જે તેણે સ્કૂટી લઈને પટિયાલા જતી વખતે વાપરવી પડી હતી.