તાજેતરમાં 12 જૂલાઈના રોજ અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને એનકોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન થયા હતા. આ લગ્નમાં દેશ-વિદેશની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન દરેકની નજર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આઉટફિટ્સ પર હતી. આ અંગે ઘણી ચર્ચા થઈ હતી.






અનંત અંબાણીની વાત કરીએ તો તેમણે ઘણા જેકેટ્સ પર ગોલ્ડ વર્ક કરાવ્યું હતું. તેમાંના ઘણામાં વાઇલ્ડ લાઇફ ડેપિક્શન પણ જોવા મળ્યું હતું. તેનું વનતારા સાથે કનેક્શન જોવા મળ્યું છે. રાધિકાના કપડા પર શ્રીનાથજી લખવામાં આવ્યું હતું. જેની તસવીર પણ વાયરલ થઈ હતી. દરમિયાન, જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ગ્રહ શાંતિ પૂજા સમારોહમાં અનંત દ્વારા પહેરવામાં આવેલા કપડાની વિગતો શેર કરી છે. મનીષ મલ્હોત્રાએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ જાણકારી આપી હતી.


24 કેરેટ સોનું ઓગાળીને બનાવાયુ હતું અનંત અંબાણીનું જેકેટ


મનીષે જે ફોટો શેર કર્યો છે તેમાં અનંત અંબાણી લાલ કુર્તા અને બુંદી જેકેટ પહેર્યું છે. આ જેકેટને 24 કેરેટ સોનાને ઓગાળીને ડિઝાઇન કરાયુ હતું. જેકેટ પરની ડિઝાઇન વર્ષો જૂની પરંપરાને પ્રતિબિંબિત કરે છે અને તેના પરનું પિછવાઈ પેઇન્ટિંગ રાજસ્થાનના નાથદ્વારા મંદિરથી પ્રેરિત છે. તે ભીલવાડાના કારીગરો દ્વારા 600 કલાકમાં તૈયાર કરાયું હતું અને 100 અસલી 24 કેરેટ ગોલ્ડના પાંદડાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. 


આ પ્રસંગે સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત અનંત અંબાણીની કલગી રહી છે. સૂત્રો અનુસાર, આ કલગીની કિંમત અંદાજે 160 કરોડ રૂપિયા છે. અનંતે આ હીરાજડિત કલગીને તેના સોનેરી સાફા પર અને જાનમાં પણ પહેરી હતી. આ કલગી અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરાયેલા તેના સમગ્ર પરિધાનને રાજસી ટચ આપે છે.