નવી દિલ્હીઃ વાઇએસઆર કોગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઇએસ જગન મોહન રેડ્ડીની મુશ્કેલીઓ વધી શકે છે. સીબીઆઇ કોર્ટે શુક્રવારે જગનમોહન રેડ્ડીને તેમના વિરુદ્ધ આવત કરતા વધુ સંપત્તિ મામલામાં 10 જાન્યુઆરીના રોજ વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાના નિર્દેશ આપ્યા હતા. એવામાં જો જગન મોહન રેડ્ડી કોર્ટના આદેશનું પાલન કરશે તો પ્રથમવાર તેઓ મુખ્યમંત્રી બન્યા બાદ વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજરી આપશે.


નોંધનીય છે કે આ અગાઉ રેડ્ડી તરફથી એક અરજી દાખલ કરીને કોર્ટમાં હાજર રહેવામાં છૂટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જેમાં તેમણે દર શુક્રવારે કોર્ટમાં હાજર રહેવા માટે તેઓ સક્ષમ નથી તેવું જણાવ્યું હતું. જેના પર વાઇએસઆરસીના નેતાએ કહ્યું કે, મુખ્યમંત્રી સીબીઆઇ કોર્ટના આદેશને રાજ્યની હાઇકોર્ટમાં પડકારી શકે છે.

બીજી તરફ રેડ્ડી તરફથી દાખલ અરજી પર સીબીઆઇએ કહ્યું કે સંપત્તિ મામલામાં મુખ્યમંત્રીને વ્યક્તિગત રીતે હાજર રહેવામાં છૂટ આપવામાં ના આવે. એજન્સીએ અરજી પર અસંતોષ વ્યક્ત કર્યો. ત્યારબાદ કોર્ટે રેડ્ડીના વકીલને કહ્યુ કે તમારા અસીલને એક સાથે 10 છૂટ આપવામાં આવી ચૂકી છે. એટલા માટે હવે કોઇ વધુ  છૂટ આપવામાં આવશે નહી. કોર્ટે કહ્યુ કે, આરોપીએ કોઇ પણ પરિસ્થિતિમાં આગામી શુક્રવારે કોર્ટમાં હાજર રહેવુ  પડશે. તે સિવાય વાઇએસઆર કોગ્રેસ પાર્ટીના મહાસચિવ અને રાજ્યસભાના સભ્ય વી વિજયાસાઇ રેડ્ડીને પણ 10 જાન્યુઆરીએ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.