Anil Antony On Rahul Gandhi: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની ગુરુવારે ભાજપમાં જોડાયા છે. અનિલ એન્ટોનીએ હાથમાં કમળ ઝાલતા જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. અનિલ એન્ટોનીએ ટ્વીટ કર્યું હતું કે, રાહુલ ગાંધી - એક રાષ્ટ્રીય પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસના કહેવાતા પીએમ પદના ઉમેદવાર ઓનલાઈન/સોશિયલ મીડિયા સેલ ટ્રોલની જેમ બોલે છે, રાષ્ટ્રીય નેતાની જેમ નહીં.



તેમણે આગળ લખ્યું હતું કે, રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં દાયકાઓ સુધી યોગદાન આપનારા મોટા દિગ્ગજ લોકો સાથે અમારું નવું નામ જોઈને ખૂબ આનંદ થયો. તેમણે પાર્ટી છોડવી પડી કારણ કે, તેઓ પરિવાર માટે નહીં પણ ભારત અને આપણા લોકો માટે કામ કરવાનું પસંદ કરતા હતા. હકીકતે એક ફોટો ટ્વિટ કરતા રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, સત્ય છુપાવે છે, તેથી જ રોજેરોજ ગેરમાર્ગે દોરે છે, સવાલ એક જ છે - અદાણીની કંપનીઓમાં 20,000 કરોડ બેનામી પૈસા કોના છે? આ ફોટામાં ભાજપના નેતાઓના નામ સાથે અદાણી લખવામાં આવ્યું હતું.

કોંગ્રેસ સામે ખોલ્યો મોરચો

પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટનીએ ભાજપમાં જોડાતાની સાથે જ કોંગ્રેસ સામે મોરચો ખોલી દીધો હતો. કોંગ્રેસ પર પરિવારવાદનો આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે, તેમનો ધર્મ રાષ્ટ્ર માટે કામ કરવાનો છે, પરિવાર માટે કામ કરવાનો નથી. આજકાલ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને લાગે છે કે, તેમનો ધર્મ પરિવાર માટે કામ કરવાનો છે. મારો ધર્મ રાષ્ટ્ર માટે કામ કરવાનો છે.

જાન્યુઆરીમાં કોંગ્રેસ છોડી દીધી

પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરતા અનિલ એન્ટનીએ કહ્યું હતું કે, વિકસિત રાષ્ટ્ર બનાવવાનું તેમનું વિઝન સ્પષ્ટ છે અને તેમાં યોગદાન આપવું તેમની ફરજ છે. અનિલે આ વર્ષના જાન્યુઆરી મહિનામાં કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તેઓ કોંગ્રેસના કેરળ એકમના ડિજિટલ મીડિયા વિભાગના વડા પણ રહી ચૂક્યા છે.

બીબીસી ડોક્યુમેન્ટ્રીની કરી આકરી ટીકા

અનિલે ગુજરાતમાં 2002ના રમખાણો પર આધારિત બીબીસી ડોક્યુમેન્ટ્રીની ટીકા કરતા કહ્યું હતું કે, તેનાથી દેશની સાર્વભૌમત્વ પર અસર થશે. તેમના આ નિવેદન બાદ તેમને કોંગ્રેસની અંદર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાર બાદ તેમણે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.