પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મંગળવારે રેપ વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું હતું. નવા કાયદા હેઠળ રેપ કેસની તપાસ 36 દિવસમાં પૂરી કરવાની રહેશે. આ સિવાય જો પીડિતા કોમામાં જાય અથવા મૃત્યુ પામે તો 10 દિવસની અંદર ગુનેગારને ફાંસી આપવામાં આવશે. આ બિલને આગળ રાજ્યપાલને મોકલવામાં આવશે. તેમની સહી બાદ તે કાયદો બની જશે.






બંગાળ વિધાનસભામાંથી રેપ વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું છે. આ દરમિયાન સીએમ મમતા બેનર્જીએ બિલને ઐતિહાસિક ગણાવ્યું અને કહ્યું કે રાજ્યમાં એક વિશેષ અપરાજિતા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે, જે મહિલાઓ વિરુદ્ધ ગુનાઓની તપાસને ઝડપી બનાવશે. વિપક્ષી પાર્ટી ભાજપે પણ આ બિલ પર સરકારને ટેકો આપ્યો હતો, પરંતુ કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે આ બિલને વહેલી તકે કાયદો બનાવીને લાગુ કરવામાં આવે. બીજેપી નેતા સુભેન્દુ અધિકારીએ કહ્યું કે અમને માત્ર પરિણામો જોઈએ છે.


વિશેષ અપરાજિતા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે


અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ (વેસ્ટ બંગાળ ક્રિમિનલ લો એન્ડ એમેન્ડમેન્ટ) બિલ 2024 પર વિધાનસભામાં ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે હું બળાત્કાર પીડિતા અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આ એક ઐતિહાસિક બિલ છે. આ બિલનો ઉદ્દેશ ઝડપી તપાસ, ઝડપી ન્યાય અને ગુનેગારોને કડક સજા કરવાનો છે. તેમણે કહ્યું, 'બળાત્કાર એ માનવતા સામેનો અભિશાપ છે અને આવા ગુનાઓને રોકવા માટે સામાજિક સુધારાની જરૂર છે.' મુખ્યમંત્રીએ કહ્યું કે આ વિધેયકની જોગવાઈઓ હેઠળ અમે સમયબદ્ધ રીતે તપાસ પૂર્ણ કરવા માટે વિશેષ અપરાજિતા ટાસ્ક ફોર્સની રચના કરીશું. જેના કારણે મહિલાઓ અને બાળકો વિરૂદ્ધના ગુનાઓની તપાસ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી શકાશે અને ગુનેગારોને સજા થઈ શકશે.


મમતા બેનર્જીએ વડાપ્રધાન અને ગૃહમંત્રીનું માંગ્યું રાજીનામું


બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે આ બિલ દ્વારા તેમની સરકારે પીડિતો અને તેમના પરિવારોને ન્યાય આપવા માટે કેન્દ્રીય કાયદાઓમાં રહેલી છટકબારીઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને તે તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોના રાજીનામાની પણ માંગ કરી હતી જેઓ 'મહિલાઓની સુરક્ષા માટે અસરકારક કાયદાનો અમલ કરવામાં સક્ષમ નથી'. અપરાજિતા મહિલા-બાળ બિલને ઐતિહાસિક ગણાવતા મુખ્યમંત્રીએ આ બિલને અન્ય રાજ્યો માટે પણ એક ઉદાહરણ ગણાવ્યું હતું. બિલ પર ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્યોએ સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી હતી. આ અંગે નારાજગી વ્યક્ત કરતા સીએમએ કહ્યું કે, 'જે કારણોસર તમે મારા વિરુદ્ધ નારા લગાવી રહ્યા છો તે જ કારણોસર હું પણ વડાપ્રધાન અને ગૃહમંત્રી વિરુદ્ધ નારા લગાવું તો?'


મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધનો દર અસામાન્ય રીતે ઊંચો છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં શોષણનો ભોગ બનેલી મહિલાઓને અદાલતોમાં ન્યાય મળી રહ્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ રોકવા માટે કેન્દ્ર સરકારનો કાયદો BNS બનાવતી વખતે બંગાળની સલાહ લેવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે તેઓ નવી સરકારની રચના બાદ આ અંગે ચર્ચા કરવા ઈચ્છે છે.