નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઘાટીમાં વિપક્ષી નેતાઓની મુલાકાત કરવાની માંગને નકારી દીધી છે. જમ્મુ કાશ્મીર રાજભવનના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિપક્ષી પાર્ટીના નેતાઓના પ્રવાસથી સમસ્યાઓ વધી શકે છે અને સ્થાનીક લોકોને વધુ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.


ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કાશ્મીરમાં હિંસાની ખબરો સંબંધી ટીપ્પણી વિશે કહ્યું હતું કે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષને ઘાટીનો પ્રવાસ કરાવવા અને સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે તેઓ એક વિમાન મોકલાશે.  તેના બાદ સત્યપાલ મલિકના આમંત્રણ પર રાહુલ ગાંધીએ પલટવાર કર્યો હતો. સત્યપાલે કહ્યું હતું કે રાહુલ ગાંધી આ મામલા પર રાજનિતી કરી રહ્યાં છે.


રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વિટ કરી કહ્યું હતું કે હું તમારા આમંત્રણ પર નેતાઓના એક પ્રતિનિધિમંડળ સાથે જમ્મુ કાશ્મીર અને લદાખ જઈશ. તેના માટે અમારે વિમાનની જરૂર નથી, બસ અમારે ત્યા રહેલા લોકો, ત્યાના નેતાઓ અને જવાનોને મળવાની આઝાદી આપવામાં આવે.