Arvind Kejriwal Resignation: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સીએમ પદેથી રાજીનામાની જાહેરાત બાદ દિલ્હીમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. હવે સીએમ કેજરીવાલના આ નિર્ણય અંગે સમાજસેવક અન્ના હજારેની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે મેં અરવિંદ કેજરીવાલને રાજકારણમાં આવવાની ના પાડી હતી.


અન્ના હજારેએ કહ્યું, "હું કેજરીવાલને પહેલેથી જ કહી રહ્યો હતો કે રાજકારણમાં ન જાઓ. સમાજની સેવા કરો, ખૂબ મોટા માણસ બનશો. ઘણા વર્ષો સુધી અમે લોકો સાથે હતા. તે સમયે મેં વારંવાર કહ્યું કે રાજકારણમાં ન જવું. સમાજસેવા આનંદ આપે છે. આનંદ વધારો, પરંતુ તેમના દિલમાં વાત ન રહી અને આજે જે થવાનું હતું તે થઈ ગયું. તેમના દિલમાં શું છે હું શું જાણું."


જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે તેઓ બે દિવસ પછી પોતાના પદેથી રાજીનામું આપશે અને દિલ્હીમાં વહેલી ચૂંટણી કરાવવાની માંગ કરશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી લોકો તેમને પ્રામાણિકતાનું પ્રમાણપત્ર નહીં આપે, ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસે.


'નવેમ્બરમાં થાય દિલ્હીની ચૂંટણી'


આબકારી નીતિ સાથે સંબંધિત કથિત ભ્રષ્ટાચાર કેસમાં શુક્રવારે તિહાર જેલમાંથી જામીન પર મુક્ત થયેલા કેજરીવાલે કહ્યું કે આગામી કેટલાક દિવસોમાં આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્યોની બેઠક થશે અને પાર્ટીના એક નેતાને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી થવાની છે પરંતુ હું નવેમ્બરમાં મહારાષ્ટ્રની સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં ચૂંટણી કરાવવાની માંગ કરું છું.


હું અગ્નિપરીક્ષા આપવા માંગુ છું - કેજરીવાલ


સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું મુખ્યમંત્રીની ખુરશી પર ત્યારે જ બેસીશ, જ્યારે લોકો મને પ્રામાણિકતાનું પ્રમાણપત્ર આપશે. જેલમાંથી બહાર આવ્યા પછી અગ્નિપરીક્ષા આપવા માંગુ છું. તેમણે એ પણ કહ્યું કે હું મુખ્યમંત્રી અને સિસોદિયા ઉપમુખ્યમંત્રી ત્યારે જ બનીશું, જ્યારે લોકો કહેશે કે અમે પ્રામાણિક છીએ.


AAP કાર્યકર્તાઓને સંબોધતા અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું,  કે હું બે દિવસ પછી રાજીનામું આપવા જઈ રહ્યો છું. આગામી મુખ્યમંત્રીની પસંદગી માટે ધારાસભ્ય દળની બેઠક થશે. જેમાં આગામી મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જનતાના આશીર્વાદથી અમારી પાસે ભાજપના તમામ ષડયંત્રનો સામનો કરવાની શક્તિ છે. અમે ભાજપ સામે ઝૂકીશું નહીં, રોકાઈશું નહીં કે વેચાઈશું નહીં. અમે આજે દિલ્હી માટે ઘણું બધું કરી શક્યા છીએ કારણ કે અમે પ્રામાણિક છીએ. આજે તેઓ આપણી પ્રામાણિકતાથી ડરે છે કારણ કે તે પ્રામાણિક નથી. હું “પૈસાથી સત્તા અને સત્તાથી પૈસા”ની આ રમતનો ભાગ બનવા નથી આવ્યો.


આ પણ વાંચોઃ


મહિલાને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે: ઉચ્ચ ન્યાયાલય