Aryan Khan Case: આર્યન ખાન કેસમાં પૂર્વ NCB ઓફિસર સમીર વાનખેડે મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. CBIએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઈ ઝોનના ભૂતપૂર્વ ડિરેક્ટર વિરુદ્ધ FIR નોંધી છે. જેમાં સમીર વાનખેડે પર અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ફસાવવાના બદલામાં 25 કરોડની લાંચ માંગવાનો આરોપ છે.


ફરિયાદની કોપી અનુસાર  સમીર વાનખેડેના કહેવા પર ગોસાવીએ આર્યન ખાન કેસમાં 25 કરોડની માંગણી કરી હતી. આ રકમના બદલામાં આર્યન ખાનને ડ્રગ્સના કેસમાં ફસાવવામાં નહીં આવે તેવી ખાતરી આપવામાં આવી હતી.






ગોસાવી વાનખેડે માટે ડીલ કરતો હતો


ફરિયાદની કોપી અનુસાર, સમીર વાનખેડેએ ગોસાવીને સોદા માટે પૈસાના મામલે સંપૂર્ણ છૂટ આપી હતી. ગોસાવીએ 18 કરોડમાં ડીલની પુષ્ટિ કરી હતી. એટલું જ નહીં ગોસાવીએ એડવાન્સ તરીકે 50 લાખ રૂપિયા પણ લીધા હતા.


ફરિયાદ  મુજબ તપાસમાં સમીર વાનખેડેએ પણ પોતાની વિદેશ યાત્રા વિશે સાચી માહિતી આપી ન હતી. તેણે તેની મોંઘી ઘડિયાળ અને કપડાં વિશે પણ સત્ય જણાવ્યું ન હતું. ફરિયાદમાં સમીર વાનખેડેની અપ્રમાણસર સંપત્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


સીબીઆઈએ વાનખેડેના ઘરે દરોડા પાડ્યા હતા


12 મેના રોજ  સમીર વાનખેડે વિરુદ્ધ એક મોટી કાર્યવાહીમાં સીબીઆઈએ તેના પરિસરમાં દરોડા પાડ્યા હતા. સીબીઆઈની ટીમે વાનખેડેની તેમના મુંબઈના ઘરે 13 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. સીબીઆઈના અધિકારીઓ વાનખેડેના પિતા, સસરા અને બહેનના ઘરે પણ પહોંચ્યા હતા. 


આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ NCBએ અટકાયત કરી હતી અને 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસને લઈ સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી.   સમીર વાનખેડે પર અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ફસાવવાના બદલામાં 25 કરોડની લાંચ માંગવાનો આરોપ છે. 


સમીર વાનખેડેએ ઓક્ટોબર 2021માં મુંબઈના કોર્ડલિયા ક્રૂઝ  પરથી વિવાદાસ્પદ ડ્રગ્સ રેડનું નેતૃત્વ કર્યુ હતું. અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સમીર વાનખેડે પર આરોપ હતો કે તેણે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાન પાસેથી 25 કરોડ રૂપિયા માંગ્યા હતા અને સમીર વાનખેડ અને NCBના 4 અધિકારીઓએ 25 કરોડમાંથી 25 લાખ રૂપિયા લાંચ પેટે ઉઘરાવી લીધા હતા.