નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના વધતા સંકટના કારણે 24 માર્ચના રોજ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદથી ઘરેલુ હિંસાના કેસમાં વધારો થયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ભારતમાં ઘરેલુ હિંસાના કેસ 24 માર્ચ બાદ વધ્યા છે. લોકડાઉનમાં લોકોને ઘરોમાં જ રહેવાના નિર્દેશ અપાયા હતા. જેના કારણે અનેક લોકો ઘરે જ રહીને ઓફિસનું કામ કરી રહ્યા છે.


દિલ્હીના ડીસીપી (ઓપરેશન્સ એન્ડ કમ્યુનિકેશન )એસકે સિંહે કહ્યું કે, આ ખૂબ આશ્વર્ય કરનારી વાત છે કે મહિલાઓ વિરુદ્ધના ગુના સંબંધિત કોલ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધ્યા છે. અગાઉ ઘરેલુ હિંસા , છેડતી સંબંધિત કોલ દરરોજ 900-1000 આવતી હતી. જોકે, લોકડાઉન બાદ પ્રતિ દિવસ લગભગ 1000-1200 કોલ મળી રહી છે.

તેમણે કહ્યુ કે, અનેક મહિલાઓએ દિલ્હીમાં જેજે કોલોનિયો પાસેથી કોલ કર્યો છે અને પોતાના પાડોશીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. કેટલાક ખરાબ માનસિકતાવાળા લોકો ભોજન અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ માટે ફરી રહ્યા છે અને યુવતીઓ પર  બિભત્સ ટિપ્પણીઓ અને છેડતી કરી રહ્યા છે. લોકડાઉનના કારણે મહિલાઓ બહાર આવીને ફરિયાદો નથી કરી શકતી પરંતુ કોલ જરૂર વધ્યા છે.